Breaking News : મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, ભાજપના જ ધારાસભ્યે કહ્યું ભ્રષ્ટાચાર થયો, જુઓ Video
મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામમાં ચાલી રહેલા કેનાલ નિર્માણના કામગીરીમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલો મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પોતે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું છે.
ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભાજપના જ ધારાસભ્યે, કરોડો રુપિયાના સરકારી કામમાં આચરાયેલો ભ્રષ્ટાચાર છતો કર્યો છે. મહેમદાવાદના વાંઠવાળી ખાતે કેનાલના કામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો વપરાશ કરાયો હોવાનું ખુદ ભાજપના જ ધારાસભ્યે જાહેર કર્યું છે. ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણે, હથોડીના એક ફટકામાં જ સરકારી બાંધકામના લીરેલીરા ઉડાવી દીધા હતા. જ્યાં હથોડી મારી ત્યાંથી સિમેન્ટ ભ્રષ્ટાચારના પોપડાની માફક ઉખડી ગયો હતો. આ સરકારી બાંધકામ ઉપર દેખરેખ રાખવાની જેમની જવાબદારી છે તેવા અધિકારીની હાજરીમાં ધારાસભ્યે, સરકારી કામમાં કેવો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેનો નમૂનો રજૂ કર્યો છે. ભાજપના જ ધારાસભ્યે, સરકારી કામમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરતો હોવા અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વ્યાપકપણે વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતમાં સરકારી બાંધકામમાં પોલંપોલ ચાલતી હોવાનો ઘટસ્ફોટ ખૂદ ધારાસભ્યે કર્યો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં ચાલી રહેલા કેનાલના કામમાં લાલિયાવાડી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે, અધિકારીઓની હાજરીમાં એક હથોડીનો ફટકો મારતા જ સિમેન્ટના પોપડા ઉખડી ગયા હતા. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં દર્શાવવામાં આવે છે કે, કેનાલનું કામ કેટલી હલકી કક્ષાનુ અને નબળુ કરવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, આશરે 2 કરોડના ખર્ચે બનાવાઈ રહેલી કેનાલની ગુણવત્તા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ કામમાં ચાલી રહેલા કેનાલની ગુણવત્તાને લઈ સવાલો ઉભા કરેલા. કેનાલ બનાવતી વખતે હલકી કક્ષાના સામાનનો ઉપયોગ કરવામાં આવી રહેલો હતો. આ ફરિયાદને ગંભીરતાથી લઈને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જાતે જ સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી.
બાંધકામમાં થતો ભ્રષ્ટાચાર ઉજાગર
અર્જુનસિંહ ચૌહાણે ટીમ અને અધિકારીઓ સાથે ગુણવત્તાની ચકાસણી કરી. ચકાસણી દરમિયાન ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડી લઈને કેનાલના બાંધકામ પર પ્રહાર કર્યો. બાંધકામ પર પ્રહાર કરતા સમયે સિમેન્ટના પોપડા સરળતાથી ઉખડી ગયા. જેનાથી કામની નબળી ગુણવત્તા સ્પષ્ટ જોવાઈ રહી હતી. આ દૃશ્યો જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સામાન્ય હથોડીના ફટકાથી જ સિમેન્ટ છૂટી જવું આ બાંધકામમાં થતી ખામી અને ભ્રષ્ટાચારની આશંકા છે. આ ઘટનાને લઈ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ધારાસભ્યએ જણાવ્યું કે જાહેર નાણાંનો દુરુપયોગ કોઈપણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે. અધિકારીઓને આખું કામ નવું કરવા માટે કયું છે. જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમચમાં મંત્રી અને CMને રજુઆત કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરના રૂપિયાથી જ સમગ્ર કામ થશે આવું પણ ધારાસભ્ય બોલ્યા.