Breaking news: ‘વિકાસ’ના દાવા પર ગટરનું પાણી ફરી વળ્યું ! પાદરાના વોર્ડ-6માં પાંચ મહિનાથી નર્ક જેવી હાલત

| Edited By: | Updated on: Jan 19, 2026 | 3:44 PM

પાદરા શહેરના વોર્ડ નં-6માં છેલ્લા પાંચ મહિનાથી જાહેર માર્ગ પર ગટરના પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પરિસ્થિતિથી કંટાળી લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પાલિકા વિરુદ્ધ ‘હાય-હાય’ના નારા લગાવ્યા.

‘વિકાસ’ના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ હકીકતમાં વિકાસ ક્યાં છે? એવો સવાલ વડોદરાના પાદરામાંથી સામે આવેલા ચિંતાજનક દ્રશ્યો ઊભો કરી રહ્યા છે. પાદરા શહેરના વોર્ડ નં-6માં છેલ્લા પાંચ મહિનાથી જાહેર માર્ગ પર ગટરના પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પરિસ્થિતિથી કંટાળી લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પાલિકા વિરુદ્ધ ‘હાય-હાય’ના નારા લગાવ્યા.

જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

સ્થાનિકોનો આક્ષેપ છે કે પાદરા શહેરની ગટરોનું પાણી બાજુમાં આવેલા રામેશ્વર તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. આ તળાવનું ગંદકીયુક્ત પાણી મહાકાળી નગર અને દિનેશ હોલની બહારના મુખ્ય માર્ગ પર ફરી વળતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સતત ભરાયેલા દુર્ગંધયુક્ત પાણીના કારણે વાહનચાલકો તેમજ વોકિંગ કરતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સાથે જ રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

તમામ દાવાઓને પોકળ સાબિત થઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે આ તળાવનું પહેલાંનું નામ ‘ભોખણ ખાડો’ હતું, જેના બ્યૂટિફિકેશન માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા હતા. નામ બદલાઈ ‘રામેશ્વર તળાવ’ કરાયું, પરંતુ હાલના દ્રશ્યો બ્યૂટિફિકેશનના તમામ દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે. સ્થાનિકો તેમજ કોર્પોરેટર દ્વારા વારંવાર રજૂઆત છતાં પાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published on: Jan 19, 2026 03:40 PM
Follow Us