Breaking news Surat: સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર, નિર્ણય સામે ભારે રોષ

| Edited By: | Updated on: Jun 11, 2026 | 2:53 PM

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળા નં. 354ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં સ્થળાંતર કરવાનો નિર્ણય વિવાદનું કારણ બન્યો છે. આ નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતા ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળા નં. 354ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં સ્થળાંતર કરવાનો નિર્ણય વિવાદનું કારણ બન્યો છે. આ નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતા ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. વાલીઓનો આક્ષેપ છે કે, શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અન્ય શાળા નં. 309માં ખસેડવાનો નિર્ણય તેમની સંમતિ વિના લેવામાં આવ્યો છે.

કોઈ જાહેર બેઠક યોજવામાં આવી નહોતી

વાલીઓના જણાવ્યા અનુસાર, આટલા મહત્વના નિર્ણય પહેલાં કોઈ જાહેર બેઠક યોજવામાં આવી નહોતી કે વાલીઓનો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો. માત્ર વોટ્સએપ મેસેજ દ્વારા સ્થળાંતરની જાણ કરવામાં આવી હતી. જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વાલીઓએ વધુમાં જણાવ્યું કે, નવી શાળા તેમના વિસ્તારથી ઘણી દૂર આવેલી છે, જેના કારણે નાના બાળકોને દરરોજ લાંબું અંતર કાપવું પડશે. ઉપરાંત નવી શાળામાં પૂરતી શૈક્ષણિક અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

નિર્ણય 14 મેના રોજ લેવામાં આવ્યો

સ્થળાંતરના નિર્ણયને લઈને વાલીઓએ શાળા તંત્ર પર તેમને અંધારામાં રાખવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, સત્તાવાર નિર્ણય 14 મેના રોજ લેવામાં આવ્યો હતો, પરંતુ વાલીઓને તેની જાણ શાળા શરૂ થવાના માત્ર પાંચ દિવસ પહેલાં એટલે કે 2 જૂને કરવામાં આવી હતી.

વાલીઓની મુખ્ય માગ છે કે શાળા નં. 354માં જ અંગ્રેજી માધ્યમનું શિક્ષણ ચાલુ રાખવામાં આવે. જો તેમની માગ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. હવે સત્તાધીશો આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

Surat Breaking News : ભૂતિયા ડિમોલિશનને લઈને મોટા સમાચાર ! ડિમોલિશન ભૂતિયા નહીં હોવાનો કોર્પોરેશનનો દાવો

Follow Us