વડોદરાની SSG હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવતા ભારે વિવાદ ઊભો થયો છે. એક વૃદ્ધાના નિધન બાદ પરિવારજનોએ મૃતદેહને કોલ્ડ રૂમમાં રાખ્યો હતો, કારણ કે મૃતકનો બીજો પુત્ર અમેરિકાથી પરત આવ્યા બાદ અંતિમવિધિ કરવાની યોજના હતી. પરંતુ પરિવારજનો જ્યારે મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે ચોંકાવનારી સ્થિતિ સામે આવી.
પરિવારના આક્ષેપ મુજબ મૃતદેહ શરૂઆતમાં કોલ્ડ રૂમના E1 યુનિટમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં જાણ કર્યા વગર B3 યુનિટમાં ખસેડાયો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળ્યો, જેના કારણે પરિવારજનો મૃતદેહ ઘરે લઈ જઈ શકે તેવી સ્થિતિ પણ રહી નથી. આ ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
મૃતકના પુત્રએ ગંભીર આરોપ લગાવ્યો કે મૃતદેહ મૂકાયો ત્યારે તેનું વજન આશરે 50 કિલો હતું, જ્યારે હવે સ્થિતિ એવી બની છે કે મૃતદેહ 150 kg નો થઈ ગયો છે. પરિવારજનોએ યોગ્ય તકેદારી ન રાખવાના આરોપ સાથે ન્યાયની માંગ કરી છે.
આ ઘટનાના પગલે હોસ્પિટલમાં પરિવારજનો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. વિવાદ બાદ પોસ્ટમોર્ટમ રૂમનો સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો અને અન્ય મૃતદેહોના પોસ્ટમોર્ટમનો ઈન્કાર કર્યો. સ્થિતિ ગંભીર બનતા કેટલાક મૃતદેહોને SSG હોસ્પિટલથી ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.