Breaking News: કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં પાસની રકમમાં ₹10 કરોડની ઉચાપત મામલે 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ
જાણીતા લોકકલાકાર કીર્તિદાન ગઢવીના નોરતા નગરી નામથી જાણીતા ગરબામાં પાસની રકમમાં 8 થી 10 કરોડની ઉચાપત થઈ હોવાની વિગતો સામે આવી હતી. જેમા બારોબાર વહીવટ અને ભાગીદારો સાથે ઉચાપત થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે હવે 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
નવરાત્રિ 2025માં જાણીતા ગાયક કીર્તિદાન ગઢવીના નોરતા નગરી નામથી ગરબા યોજાયા હતા. આ ગરબામાં આયોજકોના ભાગીદાર પાર્શ્વ જ્વેલર્સના માલિક પણ હતા. જેમણે ગરબાના 10 કરોડના પાસનો બરોબર વહીવટ કરી અન્ય ભાગીદારો સાથે ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટિકિટની વહેંચણીનું કામ પાર્શ્વ જવેલર્સના મેનેજર જયેશ પરમારને સોંપવામાં આવ્યું હતું.જેમાં ઇસ્યુ વાળી ટિકિટો ઓનલાઇન એપ્લિકેશનમાં વેચવા માટે આપી હતી.આ સિવાય બાકીની રોજની 4000 ટિકિટ સ્પોન્સર અને વિવિધ પરિચતોને કોમ્પ્લીમેન્ટરી તરીકે વેચવાનું નક્કી કર્યું હતું.જો વધારે ટિકિટ વેચવાની થાય તો તમામ ભાગીદારોની સહમતિથી ટિકિટ વેચવી તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નવરાત્રિ બાદ જ્યારે તપાસ કરવામાં આવી તો કુલ 1.55 લાખ રૂપિયા ટિકિટ વેચાઈ હતી. જેમાંથી 30,000 ઇસ્યુ ટિકિટ હતી, કોમ્પ્લીમેન્ટરી 1.4 લાખ ગ્રાઉન્ડ ઉપર 3857 તથા ઓનલાઇન 16,913 ટિકિટ જેટલી વેચાઈ હતી.
કોમ્પ્લીમેન્ટરી એક લાખથી વધુ ટિકિટ બાબતે એજન્સીને પૂછવામાં આવ્યું, ત્યારે એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર્શન શાહના કહેવાથી એક લાખથી વધુ ટિકિટ તેમના ભાણેજ રવિ શાહને મોકલી આપવામાં આવી હતી, જ્યારે અર્જુનભાઈ દર્શન શાહને પૂછ્યું તો દર્શને ઉડાઉ જવાબ આપ્યો અને કોઈ ખુલાસો કર્યો ન હતો. દર્શન શાહે કોમ્પ્લીમેન્ટરી ટિકિટ ઇસ્યુ ટિકિટ તરીકે ખોટી રીતે બનાવી ઓનલાઈન પ્લેટફોર્મ અને ઓફલાઈન એમ કુલ વેચાણ કરી 8 થી 10 કરોડ રૂપિયાનો ઉચાપત કરી હતી. સમગ્ર મામલે પાર્શ્વ જ્વેલર્સના માલિક દર્શન શાહ, મેનેજર જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈ વિરુદ્ધ સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
