Breaking News : નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ, હેલ્પલાઈન નબંર પણ જાહેર
ફ્લેશ ફ્લડની ઘટનામાં કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નેપાળ ગયેલા ગુજરાતી પ્રવાસીઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે
નેપાળમાં ફ્લેશ ફ્લડની ઘટનાને પગલે ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ફ્લેશ ફ્લડ બાદ અનેક ભારતીયો ગુમ થયા હોવાના અહેવાલો વચ્ચે ગુજરાતમાંથી નેપાળ પ્રવાસે ગયેલા લોકોની માહિતી મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓની કચેરીઓ દ્વારા પણ જરૂરી માહિતી અને મદદ માટે હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
હેલ્પલાઈન નંબરો જાહેર કરાયો
ફ્લેશ ફ્લડની ઘટનામાં કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નેપાળ ગયેલા ગુજરાતી પ્રવાસીઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે, જેથી કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો સમયસર જરૂરી સહાય પહોંચાડી શકાય.
અમદાવાદ કલેક્ટર એડવાઈઝરી જાહેર કરી
આ દરમિયાન અમદાવાદ કલેક્ટર દ્વારા પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના કોઈ પ્રવાસી હાલમાં નેપાળમાં ફસાયા હોય અથવા તેમના પરિવારજનોને પ્રવાસી અંગે કોઈ માહિતી ન મળી રહી હોય તો તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
કોઈપણ પ્રકારની સહાય અથવા માહિતી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત અમદાવાદ કલેક્ટરે RTOને પણ જરૂરી સૂચનાઓ આપી છે.
નેપાળમાં ફસાયેલા ગુજરાતીની શોધ માટે ટીમ બનાવાઈ
કલેક્ટરના આદેશ બાદ RTO દ્વારા ટૂર ઓપરેટરોનો સંપર્ક કરીને અમદાવાદથી નેપાળ તરફ ગયેલા પ્રવાસીઓની માહિતી મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓની સંખ્યા, તેમના પ્રવાસની વિગતો અને તેઓ હાલમાં ક્યાં છે તેની માહિતી એકત્રિત કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે.
વહીવટી તંત્રનું કહેવું છે કે પ્રવાસીઓ અંગેની માહિતી ઝડપથી એકત્રિત કરીને જરૂરિયાત મુજબ સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવશે. જો કોઈ ગુજરાતી પ્રવાસી નેપાળમાં ફસાયો હોય અથવા તેનો સંપર્ક ન થઈ રહ્યો હોય, તો પરિવારજનોને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે.