વાવ-થરાદ ખાતે દેશના 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય અને ગૌરવભેર રીતે યોજાઈ. મલુપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ સાથે જ રાષ્ટ્રગાનની ગુંજ સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ખુલ્લી જીપમાં બેસીને પરેડમાં ભાગ લેનારા જવાનો અને ઉપસ્થિત જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. વિવિધ કેડરોની પરેડે શિસ્ત, શૌર્ય અને સમર્પણનો ઉત્કૃષ્ટ નજારો રજૂ કર્યો હતો, જેને ઉપસ્થિત જનતાએ તાળી વગાડી વધાવ્યો હતો.
આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે રાજ્યના મંત્રીઓ, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અલગ અલગ વિભાગોની પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને લોકનૃત્યની ઝલક જોવા મળી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને કલાકારોએ દેશપ્રેમ, એકતા અને વિકાસને દર્શાવતા કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. વાવ-થરાદમાં યોજાયેલ આ રાજ્યકક્ષાની ઉજવણીએ પ્રજાસત્તાક પર્વના મહાત્મ્યને ઉજાગર કરતા રાષ્ટ્રીય એકતા અને ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
