Breaking News: સ્વાદમાં મજા, સ્વાસ્થ્યમાં સજા! મોંમાં પાણી લાવે તેવી ‘પાણીપુરી’ તમારો જીવ લઈ શકે છે, એક પ્લેટ તમને હોસ્પિટલ ભેગા કરશે – જુઓ Video

| Updated on: Jan 19, 2026 | 5:41 PM

અમદાવાદમાં પાણીપુરીના શોખીનો માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્વાદમાં મજા આપતી અને મોંમાં પાણી લાવતી પાણીપુરી હવે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

અમદાવાદમાં પાણીપુરીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવામાં આવેલા પાણીપુરીના સેમ્પલના અત્યંત ભયજનક પરિણામો આવ્યા છે, જેમાં પાણીપુરીના પાણીમાંથી ગંભીર પ્રકારના બેક્ટેરિયા મળી આવ્યા છે.

ખાસ કરીને બહેરામપુરા વિસ્તારમાંથી લેવામાં આવેલા ‘બે સેમ્પલ’ પરીક્ષણમાં ફેલ સાબિત થયા છે, જેમાં ટાઈફોઈડ જેવા ગંભીર રોગ ફેલાવી શકે તેવા બેક્ટેરિયાની હાજરી મળી આવી છે.

તપાસ દરમિયાન એવો પણ પર્દાફાશ થયો છે કે, પાણીપુરી વિક્રેતાઓ લોકોને આકર્ષવા માટે પાણીમાં ‘નોન પરમીટેડ ફૂડ ગ્રેડ કલર’નો (બિન-મંજૂર કૃત્રિમ રંગો) ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારના હાનિકારક રંગો અને પ્રદૂષિત પાણી લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે, જે મોટી બીમારીઓને આમંત્રણ આપી શકે છે.

રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુધારવા માટે હાથ ધરાયેલી ઝુંબેશમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. છેલ્લા 10 દિવસમાં તંત્ર દ્વારા પાણીપુરીના પાણીના કુલ 1,198 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 1,121 સેમ્પલને કેમિકલ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા.

આ તપાસમાં બહાર આવ્યું છે કે, 280 સેમ્પલમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા ‘નોન પરમીટેડ ફૂડ ગ્રેડ કલર’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બેદરકારી બદલ મનપાએ શહેરભરમાંથી 110 પાણીપુરીની લારીઓ જપ્ત કરી છે અને વિક્રેતાઓ પાસેથી કુલ 85 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે 22 હજાર લિટર દૂષિત પાણી અને 1100 કિલો જેટલા બિન આરોગ્યપ્રદ ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published on: Jan 19, 2026 05:25 PM
Follow Us