રાજકોટમાં બંધના એલાનને પગલે શહેરની તમામ મુખ્ય બજારો બંધ રહી. આખો દિવસ ધમધમતા રહેતા અને શહેરના મુખ્ય હાર્દ સમા એવા ધર્મેન્દ્ર રોડ, પરા બજાર, લાખાજીરાજ રોડ પરની બજારોની તમામ દુકાનો બંધ જોવા મળી. બંધના પગલે બજારોમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અગ્નિકાંડને લઇને રાજકોટવાસીઓનો રોષ બંધ દરમિયાન પણ જોવા મળ્યો. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે રાજકોટના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. ધાનાણીએ ફરી ભાજપને આડેહાથ લેતા કહ્યું કે રાજકોટના લોકોએ ભાજપને લાલ આંખ બતાવી છે. જો ભાજપ નહિં જાગે તો ગેમ ઝોનની આગ ભાજપને આખા રાજ્યમાં દઝાડશે. ધાનાણીએ કહ્યું કે એસઆઇટી એ ભાજપને બચાવવાની સમિતિ છે.
આ તરફ બંધમાં રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો પણ જોડાયા હતા. કાલાવડ રોડ પર પરિવાર દ્વારા વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરાઈ હતી. એક મહિનો વીતવા છતા કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો પીડિતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો