સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે રાજકોટમાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે મેળાને લઈને મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આ વખતના જન્માષ્ટમીના મેળાને આજથી રદ કર્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકારે મેળો રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે મેળાના સ્ટોલ ધારકોના ભાડા અને ડિપોઝીટની રકમ પરત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ સંપૂર્ણ રિફંડની જાહેરાત કરી છે. મેળાના આયોજન માટે તંત્રને 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
છેલ્લા 48 કલાકમાં 46 ઈંચ કરતા વધુ વરસાદ પડી ગયો છે.જેના પગલે મેળો રદ કરાયો છે તો સ્ટોલધારકો અને રાઈડ્સ ધારકો રિફંડની માગ કરી રહ્યા છે. જો કે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ લોકમેળો આ વર્ષે પહેલેથી જ વિવાદમાં હતો.પહેલા યાંત્રિક રાઈડ્સને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જો કે આ વિવાદ પુરો થાય તે પહેલા જ મેઘરાજા રાજકોટ પર ઓળઘોળ થયા અને મન મુકીને વરસ્યા છે. રાજકોટમાં અવિરત આટલો વરસાદ ભાગ્યે જ ક્યારેય પડ્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર રેસકોર્સ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે અને મેળો શરૂ થઈ શક્યો નથી. આ તમામ મુદ્દે મેળાના સ્ટોલ ધારકો સાથે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા જિલ્લા કલેક્ટરને માગ કરવામાં આવી હતી. પ્લોટ્સ ધારકોની માગ છે કે વરસાદને કારણે મેળો શરૂ થયો નથી અને સદંતર બંધ રહ્યો છે, આથી તેમને રિફંડ આપવામાં આવે. જે અંગે રાજ્ય સરકારે નિર્ણય લેતા મેળો રદ કરી પ્લોટ્સ ધારકોને રિફંડ ચુકવવાની જાહેરાત કરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો