વડોદરામાં રેશનિંગના અનાજની કાળાબજારીનું મોટું કૌભાંડ ઝડપાયું, મધ્યરાત્રિએ સસ્તા અનાજની દુકાને મામલતદારના દરોડા
વડોદરાની મનમોહન પાર્ક સોસાયટીમાં આવેલા પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું રેકેટ ઝડપાયું છે. મામલતદારની ટીમે બાતમીના આધારે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં ગરીબોના હકનું સરકારી અનાજ કાળાબજારમાં સગેવગે કરવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી મનમોહન પાર્ક સોસાયટીની ‘પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર’ નામની સસ્તા અનાજની દુકાનમાં મામલતદારની ટીમ અને પોલીસે સંયુક્ત રીતે મોડી રાત્રે અચાનક દરોડા પાડ્યા હતા. મામલતદારને એક ગુપ્ત ફોનકોલ દ્વારા અગાઉથી જ બાતમી મળી હતી કે આ સરકારી અનાજ કાળાબજારમાં વેચવા માટે સગેવગે થઈ રહ્યું છે.
દરોડા દરમિયાન દુકાનની બહારથી જ સરકારી અનાજનો જથ્થો ભરેલો એક પિકઅપ ટેમ્પો ઝડપાઈ ગયો હતો. તંત્રએ ટેમ્પોમાંથી 142 કિલો ચોખા, 9 કિલો ચણા અને મીઠાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર જથ્થા સાથે પિકઅપ ટેમ્પો કબજે કરીને સરકારી ગોડાઉન મેનેજરને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડમાં સ્થાનિક દુકાન સંચાલક દર્શનકુમાર જયસ્વાલની સંડોવણી હોવાની આશંકાના આધારે પોલીસે તેની અટકાયત કરી છે. આ અનાજ કયા વેપારીને ત્યાં સગેવગે કરવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો રેશનિંગના અનાજની કાળાબજારીના એક બહુ મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે.
આયુષ્માન કાર્ડના નામે ક્યાંક તમે પણ વહેમમાં તો નથી ને ? જાણી લો કઈ સારવાર મળશે અને કઈ નહીં