6 વર્ષ જૂના કેસમાં ગોપાલ ઇટાલિયાને અત્યારે વોરંટ કેમ ? AAP ના ધારાસભ્યએ આની પાછળ ગણાવ્યું ભાજપનું ‘ગંદું રાજકારણ’
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે બિન-જામીનપાત્ર વોરંટ ઇસ્યૂ થતા તેમણે ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે.
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સામે બિન-જામીનપાત્ર વોરંટ ઇસ્યૂ થતા રાજકારણ ગરમાયું છે. આ મામલે પ્રતિક્રિયા આપતા ગોપાલ ઇટાલિયાએ તેને ભાજપનું પૂર્વાયોજિત કાવતરું ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પોતાની હાર ભાળી ગઈ હોવાથી તેઓ પ્રચાર ના કરી શકે, તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2020ની ઘટનામાં છેક હવે એટલે કે વર્ષ 2026માં વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે, આ બધું ચૂંટણીલક્ષી છે.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, પોલીસ મને અગાઉથી જ કહી રહી છે કે, મારા અને મારા પરિવાર વિરુદ્ધ આ પ્રકારનું કાવતરું ઘડવામાં આવશે. તેમણે પોલીસને ખુલ્લો પડકાર આપતા કહ્યું કે, “હું અત્યારે વિસાવદરમાં જ છું અને જાહેરમાં મારી ઓફિસ પર બેઠો છું, પોલીસ મને આવીને પકડી લે.” ઇટાલિયાએ વધુમાં ઉમેર્યું કે, તેઓ આ વોરંટ સામે ઝૂકશે નહીં અને આ મામલે કાયદાકીય લડત લડશે તથા તમામ આક્ષેપોનો કાયદાકીય રીતે જ જવાબ આપશે.
BJP ને ન્યાયમાં નહીં, માત્ર વોટમાં રસ ! બાપુનગરમાં કાર્યકર્તાના હત્યારાઓને પક્ષમાં આવકારતા સર્જાયો ‘ભારે વિવાદ’