ભાવનગરની યુનિવર્સિટીની સાથે ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું નામ જોડાયું છે. જે એક ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે,પરંતુ હાલ આ યુનિવર્સિટીમાં છેલ્લા અઢી વર્ષથી કાયમી કુલપતિની નિમણૂક નથી થઈ. કુલપતિની નિમણૂક ન થવા પાછળનું કારણ અહીંનું રાજકારણ છે. કાયમી કુલપતિના અભાવે મહારાજ કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટી જાણે રાજકીય અખાડો બની ગઈ છે. કાયમી કુલપતિના અભાવે વહીવટી કામગીરી અટકે છે. યુનિવર્સિટીનો વિકાસ અટકે છે અને સરવાળે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે.
હાલ ઈન્ચાર્જ કુલપતિના સહારે ગાડુ ગબડી રહ્યું છે. જેની સીધી અસર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 30 હજાર વિદ્યાર્થીઓ પર થાય છે. કાયમી કુલપતિ ન હોવાથી યુનિવર્સિટીમાં નીતિ વિષયક નિર્ણયો લઈ શકાતા નથી. વિદ્યાર્થી સંગઠનો પણ માગણી કરી રહ્યા છે કે જલદીથી કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવે.
લોકસભાની ચૂંટણી પહેલા કાયમી કુલપતિની નિમણૂક પણ થઈ હતી. પરંતુ જેના પર કુલપતિના પદનો કળશ ઢોળાયો હતો તેમણે પદ સંભાળવાની ના કહેતા. નિમણૂક ખોરંબે ચડી ગઈ. હાલ યુનિવર્સિટીએ સર્ચ કમિટીની રચના કરી છે. જે આગામી સમયમાં નિમણૂક અંગે પ્રક્રિયા હાથ ધરશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો