ભાવનગરવાસીઓ તૈયાર થઈ જાઓ! આઠ મહિનાની હાલાકીનો આવ્યો સુખદ અંત, કાલથી મુંબઈની સફર થશે ‘સુપરફાસ્ટ’
ભાવનગરવાસીઓ માટે લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને હવે મુંબઈની સફર ફરી એકવાર પાંખો ભરી રહી છે. છેલ્લા 8 મહિનાથી બંધ પડેલી ભાવનગર-નવી મુંબઈ હવાઈ સેવા આવતીકાલથી પુનઃ શરૂ થવા જઈ રહી છે.
ભાવનગરવાસીઓ માટે હવે લાંબી રાહનો અંત આવ્યો છે. છેલ્લા 8 મહિનાથી બંધ પડેલી ભાવનગર-નવી મુંબઈ હવાઈ સેવા આવતીકાલથી ફરી ધમધમતી થશે. રવિવાર, 29 માર્ચથી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર નિયમિત ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે, જેનો પ્રારંભ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ‘કે. આર. નાયડુ’ના હસ્તે કરાવવામાં આવશે.
આવતીકાલે સવારે ફ્લેગ ઓફ કરવામાં આવશે
આવતીકાલે સવારે 8:30 કલાકે ભાવનગર એરપોર્ટ પર આ સેવાનું ભવ્ય ફ્લેગ ઓફ કરવામાં આવશે. સવારે 8:35 મિનિટે પ્રથમ ફ્લાઇટ ભાવનગરથી નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી સહિતના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહેશે.
હવાઈ કનેક્ટિવિટીના અભાવે છેલ્લા 8 મહિનાથી મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. હવે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર સવાર અને સાંજ એમ દિવસની બે ટ્રિપનું સંચાલન કરવામાં આવશે. આ નવી કનેક્ટિવિટીથી માત્ર મુંબઈ જ નહીં પરંતુ નવી મુંબઈ મારફતે દેશના બીજા મોટા શહેરોમાં જવું પણ સરળ બનશે.
વેપાર-ધંધાને ‘મોટો ફાયદો’
સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના સતત પ્રયાસો બાદ શરૂ થઈ રહેલી આ સેવાને કારણે ભાવનગરના હીરા ઉદ્યોગ, શિપ બ્રેકિંગ યાર્ડ અને બીજા વેપાર-ધંધાને મોટો ફાયદો થશે. એરપોર્ટ ઓથોરિટીએ આજે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાની માહિતી આપી હતી.
