બનાસકાંઠામાં પાલનપુર(Palanpur) નેશનલ હાઈવે એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થતા વાહનોને અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવો અનુભવ થઈ રહ્યો છે. નેશનલ હાઈવે પણ બિસ્માર બનતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. નેશનલ હાઈવે પર પડેલા ખાડાને કારણે અહીંથી પસાર થતી જીરુ ભરેલી ટ્રક પલટી જતા ટ્રક માલિકને લાખો રૂપિયાનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ટ્રક પલટી જતા અન્ય વાહનોને પણ ભારે મુશ્કેલી સર્જાઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી(National Highwauy Authority)ની કચેરીની સામે જ આ ટ્રક પલટી જવાની દુર્ઘટના ઘટી હતી. લોકોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના પાપે 4 કિલોમીટર સુધી લાંબા રોડ ઉપર ઠેર ઠેર ખાડા(Potholes) પડી ગયા છે છતા રોડના સમારકામની કોઈ કામગીરી થતી નથી. માત્ર પાલનપુર નેશનલ હાઈવે નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પણ આ જ હાલત છે.. જ્યાં જુઓ ત્યાં બિસ્માર રોડ તંત્રના ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. ઠેર-ઠેર ખાડાગ્રસ્ત રોડને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
એક તરફ વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે રસ્તા પર પણ પાણી ભરાયેલા હતા. એવામાં જીરુ ભરેલી ટ્રક પલટી જતા જીરુમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ ટ્રક જોધપુર, રાજસ્થાનથી જીરુ લઈને આવી રહી હતી તે ટ્રક અહીં સુરમંદિર પાસેની ચોકડી પર પલટી ખાઈ ગઈ હતી. ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ અહીં રસ્તા પર ભારે પાણી ભરેલા હતા અને તેના કારણે માર્ગમાં રહેલો મોટો ખાડો તેમને દેખાયો હતો, જેના કારણે ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અહીં નેશનલ હાઈવેની બદ્દતર સ્થિતિ છે છતા નેશનલ હાઈવે ઓથોરિટી ખાડાગ્રસ્ત રોડનું સમારકામ કરતી નથી. સ્થાનિકો જણાવે છે કે બિસ્માર રોડને કારણે 4થી5 કિલોમીટરનો રોડ પસાર કરવામાં જ કલાક લાગી જાય છે.
આટલુ ઓછુ હોય તેમ એ જ ખાડામાં વધુ એક માલ ભરેલી ટ્રક ફસાઈ હતી. જો કે સદ્દનસીબે આ ટ્રક પલ્ટી ખાઈ ગઈ ન હતી. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના પાપે વગરવાંકે નિર્દોષ વાહનચાલકો દંડાઈ રહ્યા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, પાલનપુર નેશનલ હાઈવે 4 કિલોમીટર લાંબા રોડ પર ઠેકઠેકાણે ખાડા પડ્યા છે છતા ખાડા બુરવાની પણ કામગીરી થતી નથી.
Published On - 3:02 pm, Tue, 16 August 22