રાજ્યમાં સામે આવતી સ્કૂલ વાનના અકસ્માતની ઘટનાઓ બાદ હવે શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ નિવેદન કર્યું છે કે, વાલીઓએ પણ સ્કૂલ વાન સંદર્ભે કેટલીક ચકાસણી કરવી જોઈએ. સ્કૂલના વાનના ચાલકના વર્તન અને તેના વ્યવહારથી લઈને તેના વાન ચલાવવા અંગે માહિતી પણ વાલીઓએ જાણવી જરુરી છે. શિક્ષણ રાજ્યમંત્રીએ કહ્યું હતુ કે, બેફામ સ્કૂલ વાન ચાલકો અને ગેરવર્તન માટે આકરી કાર્યવાહી કરાવમાં આવશે.
પાનશેરીયાએ કહ્યું હતુ કે, એક મહિનામાં બે વાર ઓછામાં ઓછું બાળકો પાસે ખુલ્લા મનથી ચર્ચા કરીને વાનના ચાલક વિશેના અનુભવોની જાણકારી મેળવતા રહેવું જોઈએ. પોલીસ અને આરટીઓ દ્વારા સુરક્ષા અને સલામતી અંગે કામગીરી કરી રહ્યા હોવાનું જણાવતા કહ્યું કે, પોલીસ અને આરટીઓના કર્મીઓ કામગીરી કરી રહ્યા છે. પરંતુ ખુલ્લા માર્ગ પર તો બધે પોલીસ હાજર ના હોય એ સમજદારીનો વિષય છે.