મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યુ છે. જેના પગલે સ્થાનિક નદીઓ ગાંડીતૂર થઈ છે. તેમજ જળાશયો ઓવરફ્લો થતા કેટલાક ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યુ છે. નવસારી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પૂર્ણાનદીનું પાણી આસપાસમાં ફરી વળ્યા છે. નવસારીમાં ફાયર વિભાગ, SBRF અને NDRF સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે.
નવસારીમાં પૂરના કારણે 2200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. આ તમામ લોકોને નવસારી નગરપાલિકા સંચાલિત શાળાઓમાં રાખવામાં આવ્યા છે. તંત્રએ કુલ 10 શાળાઓમાં લોકોને રહેવાની વ્યવસ્થા કરી છે.
સ્થળાંતર લોકો માટે મેડિકલની ટીમો તૈનાત કરવામાં આવી છે.લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ સજ્જ કરવામાં આવી છે. 10 ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમજ શહેરમાં પૂર પ્રભાવિત 50 રોડ બંધ કરવામાં આવ્યા છે.