વિરમગામમાં 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી, લોકોની તમામ ઘરવખરી પલળી જતા ભારે કફોડી સ્થિતિ- Video
વિરમગામમાં ભારે વરસાદના 48 કલાક બાદ પણ અનેક વિસ્તારો જળબંબાકાર છે. વોર્ડ નંબર-2 અને વોરાની ચાલીમાં ઘરોમાં પૂરના પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી અને વીજળી ગુલ થવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
અમદાવાદના વિરમગામ તાલુકામાં આવેલા પૂર બાદ હાલાકી વધી છે. શહેરમાં વરસાદ રોકાયાના 48 કલાક બાદ પણ ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ છે. વિરમગામના વોર્ડ નંબર બે મા લોકોના ઘરોમાં હજુ પૂરના પાણી ભરાયેલા છે. વોરાની ચાલી સહિતના સ્થળોએ પાણી ભરાતા રહીશો પરેશાન થઈ ગયા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.
વોરાની ચાલીના સ્થાનિકો જણાવી રહ્યા છે કે છેલ્લા એક સપ્તાહથી તેમના ઘરની અંદર પાણી ભરાયા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. હાલ લોકો હાલાકી વેઠવા અને ભગવાન ભરોસે જીવવા મજબુર બન્યા છે પરંતુ તંત્રના કોઈ માણસ ત્યાં જોવા પણ ડોકાયા નથી.
લોકોની તમામ ઘરવખરી, ગેસ સિલિન્ડર, ગેસ, અનાજ બધુ જ પલળી ગયુ છે. લોકો શું રાંધે અને શું ખાય તે મોટો સકહ્વાલ છે. પૂરને કારણે લોકોની ભારે કફોડી સ્થિતિ થઈ છે. ત્યારે તંત્ર દ્વારા પણ તેમને મદદ નથી મળી રહી. લોકો તેમનો રોષ પ્રગટ કરતા કહી રહ્યા છે કે ખોબલા ભરી-ભરીને વોટ આપ્યા પરંતુ અત્યારે જ્યારે અમે મુશ્કેલીમાં છીએ તો તંત્ર અમારી સામે જોવાય આવતુ નથી.
સ્થાનિકોનું કહેવું છે કે ઘૂંટણસમા પાણી વચ્ચે અવરજવર માટે પણ હાલાકી વેઠવી પડતી હોય છે. સાથે જ સતત પાણી ભરાઈ રહેવાને કારણે વીજળી પણ ડૂલ છે. જેને લીધે લોકો પરેશાન છે. લોકો માગ કરી રહ્યા છે કે કોઈપણ રીતે પાણીનો નિકાલ કરવામાં આવે, વીજ પૂરવઠો ફરીથી પૂર્વવત કરવામાં આવે. 12 દિવસથી લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે. માર્ગો પાણીમાં ગરકાવ છે છતા કોઈ કાઉન્સિલર ફરક્યા પણ નથી.
