Breaking News : પદ મળ્યું પણ માન નહીં! નવસારી ભાજપમાં રાજીનામાની રાજનીતિ ગરમાઈ, જુઓ Video
નવસારી ભાજપમાં સંગઠનની જાહેરાત બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જલાલપુરના ચાર નવનિયુક્ત હોદ્દેદારો – અશોક પટેલ, વિજય પટેલ, પ્રકાશ પટેલ અને ચેતના પટેલે રાજીનામા ધરી દીધા છે. પક્ષમાં અવગણના અને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે આ રાજીનામા અપાયા છે, જેના કારણે શહેર ભાજપમાં ખળભળાટ મચ્યો છે.
નવસારી ભાજપમાં નવા સંગઠનની જાહેરાત તો થઈ… પરંતુ તે જાહેરાત સાથે જ રાજકીય ધરતી ધ્રૂજી ઊઠી છે. પદ વિતરણની ખુશી કરતાં વધુ અસંતોષની ગૂંજ શહેર ભાજપના દરવાજા સુધી પહોંચી ગઈ છે. નવનિયુક્ત હોદ્દેદારોએ જ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા અને એ પણ શાંતિથી નહીં, પણ સ્પષ્ટ સંદેશ સાથે! જલાલપુર વિસ્તારના ચાર અગ્રણીઓએ જાહેર કર્યું કે “અવગણનાની રાજનીતિ” હવે સ્વીકાર્ય નથી. પરિણામે શહેર ભાજપમાં રાજકીય ગરમાવો અચાનક વધી ગયો છે.
કોણે મૂક્યા રાજીનામા?
રાજીનામા આપનારાઓમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ, જિલ્લા સંગઠન મંત્રી ચેતના પટેલ છે. ચારેય નેતાઓ જલાલપુર વિસ્તારના નેતાઓ છે.
આ ચારેયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વર્ષોથી તેમના વિસ્તાર અને કાર્યકરોની અવગણના થઈ રહી છે. પદ મળ્યા છતાં માન-સન્માન ન મળ્યું રાજીનામાની રીત પણ બની ચર્ચાનો વિષય ઘટનાનો સૌથી ચોંકાવનારો ભાગ રહ્યો રાજીનામા આપવાનો દ્રશ્ય. નેતાઓ જિલ્લા પ્રમુખનો સંપર્ક કરે છે, કાર્યાલય મંત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે પરંતુ બંને હાજર રહેવામાં અસમર્થતા દર્શાવે છે.
પ્રમુખનો જવાબ
“હું બહાર છું, રાજીનામા ટેબલ પર મૂકી દેજો.” અને પછી? ચારેય નેતાઓ કાર્યાલયે પહોંચ્યા, પોતાના રાજીનામા પત્ર પ્રમુખના ટેબલ પર મૂકી અને નિઃશબ્દ બહાર નીકળી ગયા. આ દ્રશ્ય પોતે જ ઘણું કહી જાય છે. પ્રશ્ન ઉઠે છે જો રાજીનામું સ્વીકારવા પણ કોઈ હાજર ન હોય, તો અવગણનાની ફરિયાદમાં કેટલું સત્ય હશે?
આંતરિક અસંતોષ સપાટી પર
આ રાજીનામા માત્ર ચાર વ્યક્તિઓના નથી, પરંતુ સંગઠનના આંતરિક અસંતોષના સંકેત છે. જલાલપુર મતવિસ્તારની અવગણનાનો આક્ષેપ હવે ખુલ્લેઆમ થઈ રહ્યો છે. જૂથબંધી, અસંતોષ અને સંવાદના અભાવના મુદ્દાઓ હવે અંદરથી બહાર આવી રહ્યા છે.
નવસારી ભાજપ માટે આ ઘટના ચેતવણી સમાન છે. કારણ કે સંગઠન મજબૂત હોય ત્યારે જ રાજકીય મંચ પર વિશ્વાસ ટકે છે. હવે નજર એ પર છે કે શું પાર્ટી આ અસંતોષને સમયસર સમજી સંવાદ દ્વારા ઉકેલશે? કે પછી આ રાજીનામા ભવિષ્યના વધુ મોટા રાજકીય ઝંઝાવાતનું સંકેત છે? નવસારીનું રાજકારણ હાલ ઉકળતા પાણી જેવું છે અને આગામી દિવસો ઘણી દિશામાં વળાંક લાવી શકે છે.
રેલવે ટ્રેક પર 10 સિંહ! એક સેકન્ડ મોડું પડ્યું હોત તો… આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો