Ahmedabad: શહેરમાં 50% ક્ષમતા સાથે AMTS-BRTS ફરી દોડશે, 28 તારીખથી સેવા શરૂ કરવા લીલીઝંડી
Ahmedabad: શહેરીજનો માટે સારા સમાચાર એ છે કે કોરોનાકાળનાં બે માસ પછી AMTS-BRTS ફરી દોડવા તૈયાર છે. રાજય સરકારે 28મીથી ફરી બસો શરૂ કરવા લીલીઝંડી આપી દીધી
Ahmedabad: ગુજરાતમાં કોરોનાનું પીક સેન્ટર રહેલા એવા અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન હવે કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે તો સાથે મોતનો આંકડો પણ રાજ્યમાં ઘટ્યો છે તે વચ્ચે શહેરીજનો માટે સારા સમાચાર એ છે કે કોરોનાકાળનાં બે માસ પછી AMTS-BRTS ફરી દોડવા તૈયાર છે. રાજય સરકારે 28મીથી ફરી બસો શરૂ કરવા લીલીઝંડી આપી દીધી છે.
જો કે બસોમાં પ્રવાસીઓની સંખ્યા 50 ટકા જ રહેશે સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રહેશે. દિવસમાં બસોને બે વખત સેનિટાઇઝ કરાશે. જણાવી દઈએ કે AMTSના ઇતિહાસમાં સૌથી ઘેરી કટોકટી હાલનાં સમયમાં ચાલી રહી છે અને અધિકારીઓ-કર્મીઓના પગાર માટે પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે સંક્રમણનો કેર ઓછો થતા અમદાવાદ શહેરમાં AMTS, BRTS સેવા શરૂ કરી દેવા માટે જણાવવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 20, 21 અને 22 મે ના રોજ સતત ત્રણ દિવસ 5 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. તો 23 મે ના રોજ 4 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા બાદ 24 મે ના દિવસે 3187 નવા કેસો નોંધાયા છે, આ સાથે 9 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.
3187 નવા કેસ, 45 મૃત્યુ
રાજ્યમાં આજે 24 મે ના રોજ કોરોનાના નવા 3187 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 45 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,55,657 થઇ છે અને મૃત્યુઆંક 9621 થયો છે. રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો
અમદાવાદ : શહેરમાં 8, જિલ્લામાં 0 મૃત્યુ
સુરત : શહેરમાં 2, જિલ્લામાં 2 મૃત્યુ
વડોદરા : શહેરમાં 3, જિલ્લામાં 2 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 1, જિલ્લામાં 2 મૃત્યુ
જામનગર : શહેરમાં 1, જિલ્લામાં 2 મૃત્યુ
જુનાગઢ : શહેરમાં 1, જિલ્લામાં 0 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ
અમદાવાદમાં 459 કેસ, વડોદરામાં 337 કેસ
રાજ્યમાં ગઈકાલે 24 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે વડોદરામાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 459, વડોદરામાં 337, સુરતમાં 181, રાજકોટમાં 152, જામનગરમાં 87, જુનાગઢમાં 66 અને ભાવનગરમાં કોરોનાના 63 નવા કેસ નોધાયા છે.
9305 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં 24 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 9305 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,13,065 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 90.07 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 68,971 થયા છે, જેમાં 648 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 68,323 દર્દીઓની સારવાર ચાલી રહી છે.