ગજબ ! પ્રજનન માટે 4500 KM તરીને ઓડિશાથી શ્રીલંકા થઇ મહારાષ્ટ્ર પહોંચ્યો કાચબો, બીચ પર મુક્યા 125 ઈંડા
કાચબાની સફર અને માળો બનાવવાની પ્રક્રિયા અદ્ભુત છે. એક ઓલિવ રિડલી કાચબાએ ઓડિશાથી મહારાષ્ટ્ર સુધી 4500 કિમીની મુસાફરી કરી. કાચબાએ ગુહાગર બીચ પર માળો બનાવ્યો અને 125 ઈંડા મૂક્યા. ઓડિશાથી શ્રીલંકા અને કેરળ થઈને મહારાષ્ટ્ર પહોંચ્યો છે.

આ વર્ષની શરૂઆતમાં, મહારાષ્ટ્ર વન વિભાગની એક ટીમને રત્નાગિરીના ગુહાગર બીચ પર એક કાચબાનો માળો મળ્યો હતો. નજીકથી તપાસ કરતાં તેમને તેના બંને આગળના ફ્લિપર પર બે ચળકતા ધાતુના ટૅગ મળ્યા. આ ઓલિવ રિડલી કાચબાની ઓળખ 03233 તરીકે થઈ હતી અને તેના વિશે એક કહાની બહાર આવી હતી.
કાચબાની 4500 કિમી લાંબી સફર
સંશોધકોએ શોધી કાઢ્યું કે કાચબાએ લગભગ 4500 કિમીની લાંબી અને મુશ્કેલ મુસાફરી કરી હતી. ઓડિશાના ગહીરમાથાથી શરૂ કરીને, પૂર્વ કિનારાથી નીચે ઉતરીને, શ્રીલંકાની આસપાસ ફરતા, ઉત્તરમાં જાફના તરફ જતા, તિરુવનંતપુરમ પાછા વળતા અને પછી પશ્ચિમ કિનારાથી ઉપર જતા અંતે રત્નાગિરિના કિનારા સુધી પહોંચે છે.
કાચબાનો માળો અને 125 ઈંડા
ગુહાગરના સફેદ રેતીના બીચ પર કાચબાએ માળો બનાવ્યો અને 125 ઈંડા મૂક્યા, જેમાંથી ઓછામાં ઓછા 107 ઈંડા ફુટી ચુક્યા છે. ફ્લિપર ટેગ પર 03233 નંબર લખેલો હતો, જેને 18 માર્ચ, 2021 ના રોજ ઓડિશાના ગહીરમાથા મરીન વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી ખાતે ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ZSI) દ્વારા ટેગ કરવામાં આવ્યો હતો.
આ કાચબો 12,000 ઓલિવ રિડલી કાચબાઓમાંનો એક હતો, જેમના સ્થળાંતર પેટર્ન અને ખોરાકના વિસ્તારોને ટ્રેક કરવામાં મદદ કરવા માટ તેમના ફ્લિપર પર ટેગ કરવામાં આવ્યા હતા. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કાચબા પૂર્વ કિનારાથી પશ્ચિમ કિનારા પર આવી શકે છે. જ્યારે આ એક દુર્લભ ઘટના ન હોઈ શકે, આ કદાચ પહેલી વાર નોંધાયેલ ઘટના છે જ્યાં પૂર્વ કિનારા પર ચિહ્નિત થયેલ કાચબો પશ્ચિમ કિનારા પર મળી આવ્યો છે. અમને ખબર નહોતી કે આ પ્રજાતિમાં આવું સ્થળાંતર શક્ય છે.
ડૉ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે કાચબાએ શ્રીલંકાની આસપાસ 4500 કિમીનો રસ્તો કાપ્યો હતો, જે ઓલિવ રિડલી કાચબાઓ માટે જાણીતો ખોરાક વિસ્તાર છે. શક્ય છે કે તે રામેશ્વરમ ટાપુને તમિલનાડુની મુખ્ય ભૂમિ સાથે જોડતા પંબન કોરિડોર દ્વારા વૈકલ્પિક ટૂંકા માર્ગે ગયો હોય.
ફક્ત પૂર્વ કિનારા જ નહીં, પશ્ચિમ કિનારાઓને પણ સુરક્ષિત રાખવાની જરૂર છે
ટર્ટલ 03233 ને ZSI ના ડૉ. બાસુદેવ ત્રિપાઠી દ્વારા ટેગ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે મહારાષ્ટ્રના રત્નાગિરીના કિનારે તેની શોધ ઓલિવ રિડલી કાચબાના માળાના પેટર્ન પર નવો પ્રકાશ પાડે છે. કાચબાઓ એક અનોખી સુમેળ સામૂહિક માળો બનાવવાની વર્તણૂક દર્શાવે છે. આને અરિબાડા કહેવામાં આવે છે, જેમાં હજારો માદા કાચબા ઇંડા મૂકવા માટે દરિયાકિનારા પર ભેગા થાય છે.
ઓલિવ રિડલી પૂર્વી શ્રીલંકાથી ઓડિશાના કિનારે આવશે. તેઓ છ મહિના સુધી રહેશે અને સામૂહિક માળો બાંધ્યા પછી પાછા જશે. આ ખાસ કાચબાએ રત્નાગિરીના કિનારે માળો બાંધ્યો હતો, જે દર્શાવે છે કે બધા ઓલિવ રિડલી ઓડિશા અથવા પૂર્વ કિનારે સામૂહિક માળો બનાવવા માટે આવતા નથી. કેટલાક પશ્ચિમ કિનારાની મુસાફરી કરે છે. આનો અર્થ એ થયો કે આપણે ફક્ત પૂર્વીય દરિયાકાંઠાનું જ નહીં, પણ પશ્ચિમી દરિયાકાંઠાનું પણ રક્ષણ કરવું પડશે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.