આપણામાંથી મોટાભાગના લોકો વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન, WhatsAppનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે WhatsApp પર કરવામાં આવેલી કેટલીક ભૂલો તમારા એકાઉન્ટને કાયમ માટે પ્રતિબંધિત પણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને નવેમ્બરમાં વોટ્સએપે ફરી એકવાર ફરિયાદો મળ્યા બાદ કેટલાક એકાઉન્ટ્સની તપાસ કરી હતી, અને ત્યારબાદ તેમા સત્યતા જણાતા જ યોગ્ય કાર્યવાહી કરીને 37 લાખથી વધુ WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
જે WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમાંથી 9.9 લાખ WhatsApp એકાઉન્ટ ભારતના છે. આ એકાઉન્ટ્સને યુઝર્સ દ્વારા ફ્લેગ કર્યા પહેલા સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઑક્ટોબરમાં વૉટ્સએપે ભારતમાં 23 લાખ 24 હજાર એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમાંથી 8 લાખ 11 હજાર એકાઉન્ટ સક્રિય રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
વોટ્સએપે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો 2021 હેઠળ નવેમ્બર મહિનાના પ્રતિ માસના રિપોર્ટમાં માહિતી આપી છે કે, 1 નવેમ્બર 2022થી 30 નવેમ્બર 2022 વચ્ચે કુલ 37 લાખ 16 હજાર એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાંથી 9 લાખ 90 હજાર એકાઉન્ટને સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઓક્ટોબર મહિનાની સરખામણીમાં નવેમ્બર મહિનામાં યુઝર્સે કેટલાક વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાની ફરિયાદ નોંધાવી હતી. નવેમ્બરમાં વોટ્સએપને યુઝર્સ તરફથી 946 ફરિયાદો મળી હતી, જેમાંથી 830 એકાઉન્ટને પ્રતિબંધિત કરવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ વોટ્સએપે આમાંથી માત્ર 73 એકાઉન્ટ પર જ કાર્યવાહી કરી છે.
જો તમારા મનમાં આ સવાલ ઘૂમી રહ્યો છે કે વોટ્સએપ દર મહિને લાખો એકાઉન્ટ્સ કેમ પ્રતિબંધિત કરે છે, તો લોકોની માહિતી માટે, અમે આપને જણાવી દઈએ કે, જ્યારે પણ કોઈ વપરાશકર્તા કંપની દ્વારા બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે, ત્યારે એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવશે.
WhatsApp દ્વારા બનાવવામાં આવેલી માર્ગદર્શીકા અને શરતોનું ધ્યાન રાખો. ભૂલથી પણ ક્યારેય તેનું ઉલ્લંઘન ન કરો. જો માર્ગદર્શીકા અને શરતોનું ઉલ્લંઘન થશે તો તમારું એકાઉન્ટ સીધેસીધુ જ પ્રતિબંધિત પણ થઈ શકે છે.