
આજકાલ દેશમાં અમીર પરિવારો અને મોટી ફેક્ટરીઓ પોતાના ઘર કે કંપનીની છત પર રૂફટોપ સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે. આના કારણે તેઓ સરકારી કંપનીઓ પાસેથી વીજળી ઓછી ખરીદે છે અને પોતાનું બિલ બચાવે છે. પરંતુ આ સ્માર્ટ આઈડિયાના કારણે સરકારી વીજ વિતરણ કંપનીઓની (ડિસ્કોમ) કમાણી ધડામ થઈ ગઈ છે. કંપનીઓની આ ખોટ ભરપાઈ કરવા માટે હવે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) એક એવો પ્લાન લાવી રહી છે જેની સીધી અસર એવા મધ્યમ વર્ગ પર પડશે જેઓ બહુ ઓછી વીજળી વાપરે છે.
જો આ પ્રસ્તાવ મંજૂર થઈ જશે તો તમારા વીજળી બિલમાં ફિક્સ મંથલી ચાર્જ એટલે કે ‘અનિવાર્ય નિશ્ચિત શુલ્ક’ નો હિસ્સો ખૂબ વધી જશે. આનો અર્થ એ થયો કે તમે મહિના દરમિયાન ભલે ગમે તેટલી ઓછી વીજળી વાપરો, એસી-પંખા બંધ રાખો અથવા તમારા ઘરને તાળું મારીને બહારગામ જતા રહો, તો પણ કંપની દ્વારા નક્કી કરાયેલી એક મોટી રકમ (ફિક્સ ચાર્જ) તમારે દર મહિને ફરજિયાત ચૂકવવી જ પડશે.
તંત્રે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે વીજ કંપનીઓનો કુલ ખર્ચ (જેમ કે ટ્રાન્સમિશન માળખું, કર્મચારીઓનો પગાર, નેટવર્કની જાળવણી અને વીજ ઉત્પાદકોને અપાતું પેમેન્ટ) માંથી 38 થી 56 ટકા હિસ્સો ફિક્સ કોસ્ટ (સ્થિર ખર્ચ) નો હોય છે. તેની સામે કંપનીઓને ફિક્સ મંથલી ચાર્જ દ્વારા કુલ કમાણીના માત્ર 9 થી 20 ટકા જ મળે છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીઓએ તબક્કાવાર ફિક્સ ચાર્જ વધારવાનો પ્લાન બનાવ્યો છે:
આ અહેવાલમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે જે ગ્રાહકોએ પોતાના ઘરે રૂફટોપ સોલર પેનલ લગાવ્યા છે અને નેટ-મીટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે, તેમના માટે એક તદ્દન અલગ ટેરિફ માળખું એટલે કે અલગથી ચાર્જ વસૂલવાનો નિયમ લાવવામાં આવે. કારણ કે આ લોકો સોલર લગાવ્યા પછી પણ બેકઅપ ગ્રીડ તરીકે સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ તો ચાલુ જ રાખે છે.
આગામી દિવસોમાં મોંઘવારીનો આ નવો કરંટ દેશના મધ્યમ વર્ગ અને સામાન્ય ગ્રાહકોના માસિક બજેટને વધુ ખોરવી નાખશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પ્રસ્તાવને ક્યારથી અને કેટલા પ્રમાણમાં લાગુ કરે છે.