હવે એસી ચલાવવા માટે વીજળીની જરૂર નહીં પડે ! Nescod ટેકનોલોજીથી મિનિટોમાં ઠંડક થશે
ગરમીના કહેર વચ્ચે હવે એસીના તોતિંગ વીજ બિલથી છુટકારો મળશે. સાઉદી અરેબિયાના વૈજ્ઞાનિકોએ Nescod નામની એવી સિસ્ટમ વિકસાવી છે જે કોઈપણ પાવર સપ્લાય વગર ચાલે છે અને માત્ર 20 મિનિટમાં તાપમાનમાં મોટો ઘટાડો લાવી શકે છે.

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે તમારો રૂમ એસીની જેમ ઠંડો રહે અને વીજળીનું બિલ એક રૂપિયો પણ ન આવે? આ કલ્પના હવે હકીકત બનવા જઈ રહી છે. સાઉદી અરેબિયાની કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટીના સંશોધકોએ ‘Nescod’ (No Electricity and Sustainable Cooling on Demand) નામની અદભૂત ટેકનોલોજી શોધી કાઢી છે. આ સિસ્ટમ ખાસ કરીને એવા વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જ્યાં વીજળીની સમસ્યા છે અથવા જેઓ મોંઘા એસીનો ખર્ચ ઉઠાવી શકતા નથી.
કેવી રીતે કામ કરે છે આ ‘મેજિક’ એસી?
આ સિસ્ટમ કોઈ મશીનરી કે કોમ્પ્રેસર પર નહીં, પણ એક રાસાયણિક પ્રક્રિયા પર આધારિત છે. તેમાં ‘એમોનિયમ નાઈટ્રેટ’નો ઉપયોગ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે ખેતીમાં ખાતર તરીકે વપરાય છે. જ્યારે આ કેમિકલને પાણીમાં ઓગાળવામાં આવે છે, ત્યારે તે પ્રવાહી તેની આસપાસની ગરમીને અત્યંત ઝડપથી શોષી લે છે. વૈજ્ઞાનિકોના પરીક્ષણમાં જાણવા મળ્યું કે આ મિશ્રણે માત્ર 20 મિનિટમાં તાપમાનને 25 ડિગ્રી સેલ્સિયસથી ઘટાડીને છેક 3.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડી દીધું હતું.
સૂર્યપ્રકાશથી થશે રીચાર્જ
આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે રિસાયકલ થઈ શકે છે. એકવાર ઠંડક આપ્યા પછી, આ સિસ્ટમ સૌર ઉર્જા (Solar Energy) નો ઉપયોગ કરીને પાણીને વરાળ બનાવી દે છે, જેથી એમોનિયમ નાઈટ્રેટ ફરીથી તેના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. આ પ્રક્રિયાને કારણે તેને વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. આમાં પાણીનો બગાડ પણ થતો નથી કારણ કે વરાળ બનેલા પાણીને પણ ફરીથી એકઠું કરી શકાય છે.
ભવિષ્ય માટે મોટી આશા
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના રિપોર્ટ મુજબ, વિશ્વની કુલ વીજળીનો 10 ટકા હિસ્સો માત્ર એસી ચલાવવામાં વપરાય છે. Nescod ટેકનોલોજી ન માત્ર વીજળી બચાવશે, પરંતુ કાર્બન ઉત્સર્જન ઘટાડી પર્યાવરણનું પણ રક્ષણ કરશે. હાલમાં આ ટેકનોલોજી પર વધુ સંશોધન ચાલી રહ્યું છે. જો તે વ્યાપારી ધોરણે લોન્ચ થશે, તો તે દવાઓ, રસીઓ અને ખાદ્ય પદાર્થોને સુરક્ષિત રાખવા માટે દુનિયાની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ સિસ્ટમ સાબિત થશે.
