IPL 2022: પહેલા કેપ્ટન બનાવ્યા, પછી 8 મેચ બાદ પદ પરથી હટાવ્યો. હવે IPL 2022 માંથી બહાર. રવિન્દ્ર જાડેજા માટે આઈપીએલની વર્તમાન સિઝન કોઈ દુઃસ્વપ્નથી ઓછી ન હતી. આ ડાબોડી ઓલરાઉન્ડર આ સિઝન પહેલા બોલ અને બેટ સાથે જબરદસ્ત ફોર્મમાં હતો. પરંતુ ચેન્નાઈએ તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેતા જ જાડેજાનું ફોર્મ પણ ખતમ થઈ ગયું અને કેપ્ટનશિપ પણ. હવે રવિન્દ્ર જાડેજા પણ IPL 2022 માંથી બહાર થઈ ગયો છે, જેનું કારણ ઈજા જણાવવામાં આવી રહ્યું છે. રવિન્દ્ર જાડેજાને પાંસળીમાં ઈજા છે. જો કે જાડેજા ( Ravindra Jadeja)ના બહાર નીકળતા પહેલા જે બન્યું તે ઘણું રસપ્રદ છે. સોશિયલ મીડિયા (Social media)પર એવી અફવાઓ છે કે જાડેજા અને CSK વચ્ચે બધુ બરાબર નથી. ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે રવિન્દ્ર જાડેજાને ટીમે ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. ચાહકોનો આરોપ છે કે ,રવિન્દ્ર જાડેજાને આ સિઝનમાં બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પહેલા જાડેજાને ફોલો કરતું હતું પરંતુ હવે તે તેના ફોલોઅર લિસ્ટમાં નથી. ચાહકોએ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને જાડેજા પર ફેલાયેલી અફવાઓ પર સ્પષ્ટતા આપી છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં, કાશી વિશ્વનાથન કહે છે કે તે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી બાબતોને જાણતો નથી, પરંતુ જાડેજા ભવિષ્યની યોજનાઓમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હશે. જાડેજાએ જે રીતે સુકાની પદ છોડ્યું છે અને તે પછી તેને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા સોશિયલ મીડિયા પર અનફોલો કરવામાં આવ્યો છે તે જોતા તેના આ નિવેદન પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. સુરેશ રૈના સાથે પણ કંઈક આવું જ થયું. આઈપીએલ 2022ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને દાવ લગાવ્યો ન હતો. જે બાદ CSKના CEOએ કહ્યું હતું કે, ટીમે તેને તેના ખરાબ ફોર્મના કારણે ખરીદ્યો નથી. તો શું હવે જાડેજા સાથે પણ આવું જ થઈ રહ્યું છે?
તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સે 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો પરંતુ તે આ સિઝનમાં ફ્લોપ સાબિત થયો હતો. જાડેજા 10 મેચમાં 19.33ની એવરેજથી માત્ર 116 રન જ બનાવી શક્યો હતો. આ ઉપરાંત તે માત્ર 5 વિકેટ લઈ શક્યો હતો. ફિલ્ડિંગમાં પણ જાડેજાએ ઘણા કેચ છોડ્યા હતા. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું જાડેજા પણ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કોઈ કામના નથી?