ભારતીય બેડમિન્ટન ટીમે થોમસ કપ (Thomas Cup 2022) ની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ પ્રથમ વખત ફાઇનલ મેચમાં પહોંચ્યું છે. ભારતની આ ઐતિહાસિક જીતનો હીરો હતો એચએસ પ્રણોય (HS Prannoy). જેણે નિર્ણાયક મેચ જીતીને ભારતને ડેનમાર્ક પર 3-2 થી વિજય અપાવ્યો હતો. જોકે પ્રણોય માટે આ જીત બિલકુલ સરળ ન હતી. આખા દેશની નજર તેની મેચ પર હતી. પરંતુ તે વિશ્વના 13 નંબરના રેસ્મસ ગેમકે સામે કોર્ટ પર લપસી જવાને કારણે તેના પગની ઘૂંટીમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેણે ‘મેડિકલ ટાઈમઆઉટ’ પણ લીધો.
ત્યારબાદ તે મેચ દરમિયાન દુખાવો થવા છતા રમતો રહ્યો. ભારતીય ખેલાડીએ હાર ન માની અને પહેલી ગેમ હારી જવા છતાં મજબૂત વાપસી કરી અને ઈતિહાસના પાના પર પોતાનું નામ નોંધાવ્યું. પ્રણોયે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં ક્યારેય હાર ન માનવાની માનસિકતાએ તેને પીડામાં રમવાની પ્રેરણા આપી. પ્રણોયે 13-21, 21-9, 21-12 થી જીત મેળવીને ભારતનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવ્યું હતું.
મેચ બાદ ભારતીય ખેલાડીએ કહ્યું કે તેના મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી. કોર્ટમાં પડી ગયા બાદ મને દુખાવો થતો હતો. હું બરાબર ચાલી પણ શકતો ન હતો. હાર ન માનવાની વાત મારા મનમાં ચાલી રહી હતી. પ્રણોયે કહ્યું કે હું માત્ર પ્રયાસ કરવા માંગતો હતો અને જોવા માંગતો હતો કે વસ્તુઓ કેવી રીતે ચાલી રહી છે. હું પ્રાર્થના કરતો હતો કે પીડા વધે નહીં. બીજી ગેમ દરમિયાન મારો દુખાવો ઓછો થવા લાગ્યો હતો અને ત્રીજી ગેમથી હું ઘણું સારું અનુભવી રહ્યો હતો.
પ્રણોયે કહ્યું કે, અમે બીજી અને ત્રીજી ગેમમાં જે વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો તે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. વ્યૂહરચના દબાણને જાળવી રાખવાની હતી અને મને ખબર હતી કે, જો હું બીજા હાફમાં સારી લીડ લઈશ તો મને મેચમાં ટકી રહેવાની બીજી તક મળશે. વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંત, વિશ્વની આઠ નંબરની ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ભારતને ફાઈનલની રેસમાં જાળવ્યું હતું. પરંતુ એચએસ પ્રણોયે 2-2ની ડ્રો બાદ ટીમને ઈતિહાસ રચવામાં મદદ કરી હતી.