Motera Stadium: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી અમદાવાદમાં રમાનારી છે. પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. જ્યારે બાકીની બંને ટેસ્ટ મેચ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડીયમ (Sardar Patel Stadium) મોટેરામાં રમાનારી છે. નવા નિર્માણ થયેલા આ મેદાનમાં પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમાનારી છે.
ત્યારે Cheteshwar Poojaraએ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. પૂજારાએ મોટેરા ખાતે પોતાના કરિયરની પ્રથમ બેવડી સદી મારી હતી. તે મેચની પ્રથમ ઈનિંગ્સમાં 15 નવેમ્બર 2012ના રોજ પૂજારાએ 389 બોલમાં 21 ફોરની મદદથી 206 રન કર્યા હતા. જ્યારે બીજી ઈનિંગ્સમાં 51 બોલમાં 41* રન કર્યા હતા. ભારતે 77 રનનો ટાર્ગેટ 1 વિકેટ ગુમાવી ચેઝ કર્યો હતો. પૂજારાએ મેચમાં કુલ 564 મિનિટ બેટિંગ કરી હતી.
ભારતે ફર્સ્ટ ઈનિંગ્સમાં 8 વિકેટે 521 રન કર્યા હતા, જવાબમાં 191 રનમાં ઓલઆઉટ થતાં ભારતે ઈંગ્લેન્ડ પર ફોલો-ઓન કર્યું હતું. બીજા દાવમાં તેમણે 406 રન કરીને ભારતને 77 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મીડિયા સાથે ઓનલાઈન વાતચીત કરતાં પૂજારાએ મોટેરા સ્ટેડિયમની જૂની યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે તેને મોટેરા ખાતે રમેલી એકમાત્ર મેચ સ્પેશિયલ હતી, સગાઈ પછીની એ ગેમમાં પૂજારાએ પોતાના કરિયરની પહેલી બેવડી સદી ફટકારી હતી.
શું કહ્યું નવા સ્ટેડિયમ અને નવી પીચ અંગે?
પૂજારાએ કહ્યું કે, આ બહુ સુંદર સ્ટેડિયમ છે. અહીં અમે બે વખત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો. બધા અહીં ટેસ્ટ રમવા ઉત્સુક છે. પીચ અંગે અંદાજો લગાવવો અઘરો છે. પ્રથમ દિવસે રમીશું પછી પીચનો અસલી મિજાજ ખબર પડશે. અત્યારે પીચ માટે કોઈપણ પ્રિડીક્શન કરવું અઘરું છે. વધુમાં જણાવતા તેને ઉમેર્યું હતું કે પિન્ક બોલ ટેસ્ટમાં પીચ પર ગ્રાસ કવર તો હોય જ છે. જોકે હજી મેચ શરૂ થવામાં 3-4 દિવસની વાર છે તો અત્યારથી કહી શકાય નહીં કે પીચ પર કેટલું ઘાસ રહેશે કે નહીં રહે. એસજી બોલ અને કૂકાબૂરા બોલથી રમવામાં ફર્ક પડે છે. બંને બોલની પોતપોતાની વિશેષતા છે. અમે માત્ર 2 પિન્ક ટેસ્ટ રમ્યા છીએ, તેથી એક પ્લેયર તરીકે મારા માટે એ અંગે કહેવું અઘરું છે કે પીચ પર કેટલી ગ્રાસ હોવી જોઈએ.
Pink Ballનો અનુભવ નથી
આ બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે બહુ મહત્ત્વની છે. અમે સારો દેખાવ કરી ફાઈનલમાં પહોંચીશું તેવો વિશ્વાસ છે. અમને પિન્ક બોલનો બહુ અનુભવ નથી. જેમ-જેમ પિન્ક બોલથી વધુ ટેસ્ટ રમીશું તેમ-તેમ અમારી ગેમ સુધરતી જશે.
હાર્દિક ત્રીજી ટેસ્ટમાં રમશે કે નહીં?
આ પ્રશ્નના જવાબમાં પૂજારાએ કહ્યું કે હાર્દિક પંડ્યાએ ત્રીજી ટેસ્ટ પહેલાં ટીમ સાથે નેટ્સમાં ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. શું તે ત્રીજી ટેસ્ટમાં રમશે કે કેમ? આ અંગે પૂજારાએ કહ્યું કે, ટીમ સિલેક્શન વિશે અત્યારે મને કંઈપણ પણ કહેવાની પરવાનગી નથી. મેનેજમેન્ટ નક્કી કરશે.
ઝાકળની રહેશે અસર
પૂજારાએ કહ્યું કે, ઝાકળનો હંમેશા પ્રભાવ રહે છે. White Ballમાં ડ્યું સાથે કેમ રમવું તે બધાને ખબર પડી ગઈ છે. પિન્ક ટેસ્ટમાં ત્રીજા સેશનમાં સામાન્યપણે ઝાકળ જોવા મળે છે. વાતાવરણ જોતાં થોડી ઘણી ઝાકળ તો જોવા મળશે જ.
IPLમાં પરત ફરીને ખુશ છું
પૂજારાએ કહ્યું કે IPLમાં પરત ફરીને ખુશ છું. મને ચાન્સ આપવા બદલ Chennai Super Kingsનો આભાર માનું છું. હું હંમેશા શોર્ટર ફોર્મેટમાં રમવા માગતો હતો. IPLમાં રમીશ તેનો મતલબ એ નથી કે કાઉન્ટીમાં રમવા નહીં મળે. IPL સમાપ્ત થશે તે પછી ટાઈમ રહેશે જ. તે ઉપરાંત અમે ઈંગ્લેન્ડ ટૂર પહેલાં બે પ્રેક્ટિસ મેચ રમવાના છીએ. અંતે તે સમયે જે યોગ્ય લાગશે એ પ્રમાણે નિર્ણય લઈશ.
આ પણ વાંચો: સર્વે: 59 ટકા લોકોએ માન્યું કે IPLની હરાજીમાં સૌથી મોંઘા વેચાયલા ક્રિસ મોરિસ ટીમ માટે સફળ સાબિત થશે