IPL 2021ની 14 મી સિઝનની ચેન્નાઇથી શરુઆત સાથે જ મુંબઇ (Mumbai ) માં આગામી 10મી એપ્રિલ થી IPL 2021 ની મેચ રમાનારી છે. જોકે તેના આયોજન પહેલા જ મહારાષ્ટ્રમાં કોવિડ 19 નુ પ્રમાણ વધવા લાગ્યુ છે જેને લઇને એક સમયે તો એવા પણ સમાચારો વહેતા થયા હતા કે, મુંબઇને બદલે અન્ય સ્થળે મેચને ખસેડાઇ શકે છે.
જોકે હવે મુંબઇમાં જ મેચો રમવાને લઇને એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે (Government of Maharashtra) પણ IPL મેચોને લઇને રસ્તો સાફ કરતા કોરોના મહામારીને રોકવા માટે લગાવેલા રાત્રી અને વિકએન્ડ લોકડાઉન (Weekend Lockdown) દરમ્યાન કેટલીક છુટછાટ જાહેર કરી છે. જે અનુસાર હવે રાત્રી કરફ્યૂની સ્થિતીમાં પણ IPL ની ટીમો રાત્રીના 8 વાગ્યા બાદ પ્રેકટીસ કરી શકશે અને સાથે જ મેદાનથી હોટલ સુધી આવા જવા માટે પણ પરવાનગી આપવામાં આવી છે.
મુંબઇ અને મહારાષ્ટ્રમાં કોવિડ-19 ના વધતા જતા પ્રમાણને લઇને મહારાષ્ટ્ર સરકાર દ્રારા રવિવારે મહારાષ્ટ્રમાં રાત્રીના 8 થી સવારે 7 સુધી કરફ્યૂ લાદવાની ઘોષણા કરી હતી. નવા આદેશોનુ પાલન પણ શરુ કરી દેવામાં આવ્યુ છે. જોકે મહારાષ્ટ્ર સરકાર દ્રારા આઇપીએલ ટીમોને આકરા કરફ્યૂ વચ્ચે પણ રાત્રીના 8 બાદ પ્રેકટીશ માટે છુટ અપાઇ છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફ પાઠવાયેલા પત્ર મુજબ દ્રારા આ છુટ અંગે જાણકારી અપાઇ છે.
રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગના સચિવ શ્રીરંગ ઘોલાપે લખ્યુ છે કે, મેચના સમયને ધ્યાને રાખીને ટીમોને ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડીયા (CCI) અને મુંબઇ ક્રિકેટ સંઘ (MCA) ના વાનખેડે સ્ટેડિયમ સુધી અવર જવાર કરવા માટે સમય નિશ્વિત કરવામાં આવ્યો છે. જે મુજબ ટીમ બે સેશનમાં અવર જવર કરી શકશે. બપોર બાદ 4 થી સાંજે 6.30 કલાકે અને સાંજે 7.30 થી 10 વાગ્યા સુધી પ્રેકટીશનો સમય નિયત કરવામાં આવ્યો છે.
મુંબઇમાં આઇપીએલની 10 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે, તે તમામ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છે. જે પૈકીની 9 મેચ સાંજે 7.30 વાગ્યે શરુ થનારી છે, જ્યારે એક મેચ બપોરે રમાનારી છે. વાનખેડે માં પ્રથમ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાનારી છે. આ દરમ્યાન હવે મુંબઇ ક્રિકેટ સંઘને મોટી રાહત પ્રાપ્ત થઇ છે. કારણ કે વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ના જે 10 કર્મચારીઓના રિપોર્ટ અગાઉ પોઝિટીવ જણાયા હતા, તે કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.