ઈન્ડિયન પ્રીમિયર લીગનો રંગ 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતના આકાશમાં છવાઈ જશે. ટૂર્નામેન્ટ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. દરમિયાન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના પ્રમુખ સૌરવ ગાંગુલી આઈપીએલ લીગ માટેની તૈયારીઓના નિરીક્ષણ માટે યુએઈ પહોંચ્યા હતા. ગયા અઠવાડિયે યુએઈ પહોંચેલા બોર્ડના ચીફ અને અન્ય અધિકારીઓને છ દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રોકાવું પડ્યું હતું. સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અન્ય અધિકારીઓ સાથે શારજાહ પહોંચ્યા હતા. જ્યાં તેમણે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી. આઈપીએલ 2020ની આગામી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તમામ મેચ અબુધાબી, શારજાહ અને દુબઈમાં રમાશે.
ગાંગુલીએ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમની તસવીર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતાં લખ્યું છે કે, “પ્રખ્યાત શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ આઈપીએલ 2020 માટે તૈયાર છે.” સૌરવ ગાંગુલી તે ત્રણ સ્થળોની મુલાકાત લેવા જઈ રહ્યા છે જ્યાં આઈપીએલ 2020 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલ 2020ની 24 મેચ દુબઈમાં રમાશે, જ્યારે અબુધાબીમાં 20 અને 12 મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. બીસીસીઆઈએ ક્વોલિફાયર અને અંતિમ મેચના સ્થળની જાહેરાત કરી નથી. તાજેતરમાં, શારજાહ સ્ટેડિયમ ખાતે પણ મોટાપાયે નવીનીકરણનું કામ કરવામાં આવ્યું હતુ.
ગાંગુલી આ પ્રવાસ દરમિયાન આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલ, ભૂતપૂર્વ આઈપીએલ વડા રાજીવ શુક્લા અને સીઓઓ હેમાંગ અમીન સાથે હતા. આઈપીએલ 2020ને કોરોના વાઈરસ રોગચાળાને કારણે દેશની બહાર લઈ જવો પડ્યો છે. 2014 દરમ્યાન પણ યુએઈમાં આ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે લીગને સફળ બનાવવા માટે સૌરવ ગાંગુલી પોતે તેની બીસીસીઆઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. કોરોના વાઈરસને કારણે બોર્ડે સલામતી માટે અનેક નિર્ણયો લીધા છે. યુએઈ પહોંચ્યા પછી તમામ ખેલાડીઓએ ક્વોરન્ટાઈનમાં રોકાવું પડ્યું હતુ, તે પછી જ તેણે પ્રેક્ટિસ શરૂ કરાઈ હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:52 pm, Tue, 15 September 20