ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની T20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ શનિવારે રમાનારી છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે હાલના સમયમાં સિરીઝ 2-2 થી બરાબર પર છે. ચોથી T20 મેચમા ટીમ ઇન્ડીયા (Team India) એ ઇંગ્લેંડને 8 રન થી હરાવી દીધુ હતુ. આ સાથે શ્રેણીમાં ભારતે પણ વાપસી કરી લીધી હતી. સિરીઝની અંતિમ મેચ પહેલા જ શિખર ધવને (Shikhar Dhawan) ઇંગ્લેંડને પોતાના અલગ તેવરનો અંદાજો આપી ચેતવ્યુ હતુ. રોહિત શર્મા (Rohit Sharma) ની ગેરહાજરી દરમ્યાન શિખર ધવન પ્રથમ T20 મેચમાં રમ્યો હતો. જે મેચમાં તે માત્ર 4 રન બનાવીને જ આઉટ થઇ ગયો હતો. તેના બાદ તે આગળની ત્રણ મેચમાં ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો નહોતો.
ધવને આ દરમ્યાન હવે એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેની કેપ્શન પણ તેને અલગ જ અંદાજમાં લખી છે. તેણે લખ્યુ કે, બેટની ધાર હંમેશા તેજ રાખવી જોઇએ, ક્યારે કામ આવી જાય એ કોઇને ખ્યાલ હોતો નથી. તેણે અંતમાં ગબ્બરનુ હેશટેગ પણ લખ્યુ હતુ. શિખર ધવનને સ્થાને બીજી T20 મેચમાં ઇશાન કિશનને સ્થાન આપવામાં આવ્યુ હતુ. ઇશાન કિશને ડેબ્યુ મેચમાં જ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેને લઇને તેને ત્રીજી મેચમાં પણ મોકો મળ્યો હતો. પરંતુ ચોથી મેચમાં તેને ઇજાને લઇને બહાર રાખીને સૂર્યકુમાર યાદવને રમાડવામા આવ્યો હતો. સૂર્યા એ 31 બોલમાં જ 57 રનની ઇનીંગ રમી હતી. તેની આ ઇનીંગે ફેંસના દીલ જીતી લીધા હતા.
ટીમ ઇન્ડીયાના ઓપનર કેએલ રાહુલ પણ આ સિરીઝમાં સતત ફ્લોપ શો કરતો રહ્યો છે. તેણે 4 મેચોમાં માત્ર 15 રન જ રન બનાવ્યા છે. બે મેચમાં તો તે ઝીરો પર જ પેવેલિયન પરત ફર્યો હતો. આવામાં કેએલ રાહુલ ના સ્થાન પર શનિવારે નિર્ણાયક મેચમાં શિખર ધવનને પણ મોકો મળી શકે છે. પાંચમી મેચમાં પણ જો ઇશાન કિશન ફીટ નહી રહે તો પણ શિખર ધવનને મોકો બની શકે છે.