ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) ના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) એ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલીયા સામે બેટ અને બોલ બંને વડે પોતાનુ યોગદાન આપ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને BCCI એ તેને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final) અને ઇંગ્લેંડ સામેની સિરીઝ માટે પસંદ કર્યો છે. વોશિંગ્ટન સુંદરના પિતાએ તેના ઇંગ્લેંડના પ્રવાસને ધ્યાને રાખીને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે પુત્રથી જ દુર રહેવુ પસંદ કર્યું છે.
કેટલાંક ખેલાડીઓ અને તેમના પરિવારજનો ને કોરોના સંક્રમણ લાગુ પડ્યુ હતું. આઇપીએલ 2021 પણ ખેલાડીઓને કોરોના સંક્રમણ લાગવાને લઇને સ્થગીત કરી દેવી પડી હતી. આ પરિસ્થીતીઓને ધ્યાને રાખીને વોશિંગ્ટન સુંદરના પિતાએ પોતાના પુત્રને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કર્યો છે. તેઓ પોતે વોશિંગ્ટનથી અલગ બીજા ઘરમાં રહેવા લાગ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ વોશિંગ્ટનના પિતા એમ સુંદરે કહ્યુ હતું કે, કામકાજ અર્થે ઘરની બહાર જવુ પડતુ હોય છે. જેને લઇ ઘરમાં કોરોના સંક્રમણ આવવા અને ફેલાવવાની શક્યતાઓ રહેતી હોય છે. જ્યારે સુંદર આઇપીએલ 2021 સ્થગીત થવા બાદ ઘરે પરત ફર્યો હતો, ત્યારથી હું બીજા ઘરમાં રહી રહ્યો છું. હું વોશિંગ્ટનને માત્ર વિડીયોકોલ દ્વારા જોવુ છું. મારી પત્નિ અને પુત્રી તેની સાથે એક જ ઘરમાં રહે છે. કારણ કે તેઓ ઘરની બહાર નિકળતા નથી.
મારે સપ્તાહમાં કેટલાક દિવસ ઓફીસ જવુ પડતુ હોય છે. હું નથી ઇચ્છતો કે, મારા કારણે તે કોરોના વાયરસના સંપર્કમાં આવે. એમ સુંદરે આગળ એ પણ કહ્યું કે, વોશિંગ્ટન હંમેશા લોર્ડસ અને ઇંગ્લેંડના અન્ય મેદાન પર ક્રિકેટ રમવા ઇચ્છતો હતો. આ તેનું વર્ષોનું સપનું હતું. અમે નથી ઇચ્છતા કે, કોઇ પણ કિંમતે તેનો આ પ્રવાસ રદ થાય.