આવતીકાલે શુક્રવારે ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (WTC Final) મેચ રમાશે. સાઉથમ્પ્ટનમાં રમાનારી ફાઇનલ મેચને લઇને ક્રિકેટરોથી લઇને ફેન્સમાં ગજબનો ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. કેટલાક ખેલાડીઓ ફાઇનલ મેચમાં દમ દેખાડવા સાથે રેકોર્ડ પર પણ નજર રાખી રહ્યા છે. ભારતીય ટીમની 15 સભ્યોની ટીમમાં સામેલ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પ્લેયીંગ ઇલેવનમાં સમાવેશ થવાનો નિશ્વિત મનાય છે. જાડેજા પાસે પણ ખાસ ક્લબમાં સામેલ થવાની તક ફાઇનલ દરમ્યાન છે.
રવિન્દ્ર જાડેજા પાસે બોલ અને બેટ બંને વડે સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સાઉથમ્પ્ટનનો પાછળનો ઇતિહાસ જોવામાં આવે તો, સ્પિનર બાજી પલટવા સક્ષમ છે. આવામાં અશ્વિન અને જાડેજા બંને ભારતીય ટીમ માટે મહત્વના સાબિત થઇ શકે છે. ફાઇનલ મેચ દરમ્યાન જાડેજા પાસે પોતાને કપિલ દેવ અને અનિલ કુંબલે જેવા દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં સામેલ થવાની તક છે. કપિલ દેવે આ સિદ્ધિ 50 ટેસ્ટ મેચમાં નોંધાવી હતી.
જાડેજા એ ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેનના રુપે 2 હજાર રન પુરા કરવા માટે માત્ર 46 રનની જરુર છે. જાડેજા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં 1954 રન ધરાવે છે. 2 હજાર રન પુરા કરવા સાથે જાડેજા એવો પાંચમો ખેલાડી બની જશે, જે 2 હજાર રન અને 200 વિકેટ ધરાવતો હોય. ટેસ્ટ ક્રિકેટમાં જાડેજા 220 વિકેટ પોતાના નામે ઝડપી ચુક્યો છે. આ પહેલા ટીમ ઇન્ડીયાના પૂર્વ દિગ્ગજો અનિલ કુંબલે, કપિલ દેવ, હરભજન સિંહ અને રવિચંદ્રન અશ્વિન આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.
અશ્વિને 51 મી ટેસ્ટ મેચ દરમ્યાન 2 હજાર રન પૂરા કર્યા હતા. અશ્વિને 250 વિકેટ ઝડપવા સાથે 2 હજાર રન સૌથી ઓછી ટેસ્ટ મેચમાં પુરા કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. જે અગાઉ રિચર્ડ હેડલીના નામે હતો. જે અગાઉ પાકિસ્તાનના ઇમરાન ખાન અને ઇંગ્લેંડના ઇયાન બોથમ પાસે આ રેકોર્ડ હતો. જેમણે 56 ટેસ્ટમાં આ સંયુક્ત સિદ્ધિ હાંસલ કરી હતી. જાડેજા 51 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે અને 52 મી ટેસ્ટ મેચમાં તે 2 હજાર રન પુરા કરવાની સિદ્ધિ નોંધાવવાની તક ધરાવે છે.
ઓલરાઉન્ડર જાડેજાનુ પ્રદર્શન પાછળના કેટલાક વર્ષથી ખૂબ જ શાનદાર રહ્યુ છે. આ વર્ષે રમાયેલ IPL 2021 માં પણ જાડેજાએ બેટ અને બોલ બંને વડે શાનદાર દેખાવ કર્યો હતો. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં પણ જાડેજા પાસે ખૂબ અપેક્ષાઓ રહેશે. ટીમ ઇન્ડીયા એ ઇંગ્લેંડ ને ઘર આંગણે 3-1 થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ.