સાઉથમ્પટન (Southampton) માં ખરાબ હવામાન વચ્ચે રોકાઇ રોકાઇને ટેસ્ટ ક્રિકેટની સૌથી મોટી મેચ રમાઇ રહી છે. ટીમ ઇન્ડીયા અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) રમાઇ રહી છે. જેમાં વરસાદ અને આછા સૂર્યપ્રકાશને લઇને મેચમાં અવરોધો પેદા થઇ રહ્યા છે. આ દરમ્યાન સાઉથમ્પટનમાં ટીમ સાથે રહેલા 9 ખેલાડીઓને બાયોબબલ થી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
મેચમાં થઇ રહેલા અવરોધને લઇને ટેસ્ટ ચેમ્પિયન પસંદ કરવા માટે પરિણામ મળવુ હવે મુશ્કેલ બની ચુક્યુ છે. ખરાબ હવામાનને લઇને ટેસ્ટ ચેમ્પિયનશીપનુ ટાઇટલ બંને ટીમો વચ્ચે સંયુક્ત રહી જાય તેવી સ્થિતી છે. કારણ કે મેચનો પ્રથમ અને ચોથો દિવસ સંપૂર્ણ પણ ધોવાઇ ચુક્યો હતો. તો વળી બીજા અને ત્રીજા દિવસની રમત સૂર્યપ્રકાશ અપૂરતો રહેતા રમત અવરોધાઇ હતી.
ટીમ ઇન્ડીયા (Team India) 20 ખેલાડીઓ સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) માટે પહોંચી હતી. જે સિવાય 4 રિઝર્વ પ્લેયર પણ ટીમ સાથે પહોંચ્યા હતા. જે 20 માંથી ભારતે 15 ખેલાડીઓને ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે પસંદ કર્યા છે. જે 15 ખેલાડીઓ ઉપરાંત બાકીના 5 ખેલાડીઓ અને 4 રિઝર્વ ખેલાડીઓને બાયોબબલ થી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટસ મુજબ, જે ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે, તેઓ લંડન માટે રવાના થશે. WTC Final મેચ બાદ ટીમ ઇન્ડીયાના તમામ ખેલાડી અને સપોર્ટ સ્ટાફને 3 સપ્તાહની રજા આપવામાં આવશે. રજાથી પરત ફરવા દરમ્યાન નોટિંઘમમાં ટીમ એકઠી થશે. જ્યાં ઇંગ્લેંડ સામે 4 ઓગષ્ટ થી રમાનારી પ્રથમ ટેસ્ટ મેચની તૈયારીઓ શરુ કરાશે.
જે ખેલાડીઓને બાયોબબલ થી મુક્ત કરવામાં આવ્યા છે તેમાં મયંક અગ્રવાલ, શાર્દૂલ ઠાકુર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, અને અક્ષર પટેલ સામેલ છે. ભારતીય ટીમના જે 15 ખેલાડીઓ હાલમાં WTC Final નો હિસ્સો છે, તેઓ પણ મેચ બાદ તુરત રીલીઝ કરી દેવાશે.
WTC Final મેચની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમ ટોસ હારીને મેદાને બેટીંગ માટે ઉતરી હતી. જેમાં ટીમ 217 રન બનાવી ઓલઆઉટ થઇ હતી. ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા 2 વિકેટ ગુમાવીને 101 રન કર્યા હતા.