
ICC T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કા પર પહોંચી ગયો છે, જ્યાં ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ મેચ 4 માર્ચના રોજ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે, જ્યારે બીજી સેમીફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાવાની છે. એવામાં હાઈ-વોલ્ટેજ સેમીફાઈનલ જંગ પહેલા જ મેદાનની બહાર ‘માઈન્ડ ગેમ’ શરૂ થઈ ગઈ છે.
ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર રહ્યું છે, જેમાં તેને માત્ર સુપર-8 મુકાબલામાં આફ્રિકન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની સેમીફાઈનલ મેચ પહેલા ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી સેમ કરનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તેણે આશા વ્યક્ત કરી છે કે, તેની ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હાજર ભારતીય પ્રશંસકોને શાંત કરવામાં સફળ રહેશે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 5 માર્ચના રોજ ભારત સામે રમાનારી સેમીફાઈનલ મેચ પહેલા સેમ કરને જણાવ્યું હતું કે, “અમે આ સ્ટેડિયમમાં ઘણું રમ્યા છીએ, તેથી અમારા માટે અહીં રમવું કોઈ નવી વાત નથી. અમને આ મેચની તૈયારી માટે 2 દિવસનો સમય મળ્યો છે, જે અમને પરિસ્થિતિ મુજબ ઢળવામાં મદદ કરશે. અમે અહીં એટલું રમ્યા છીએ કે, અલગ-અલગ સ્થિતિઓની આદત પડી ગઈ છે. અમે અહીં આઈપીએલમાં ભારતીય ખેલાડીઓ સાથે પણ ઘણું રમ્યા છીએ, તેથી એવી કોઈ બાબત નથી જે છુપાવી શકાય. આ એક શાનદાર સ્ટેડિયમ છે અને મને ખાતરી છે કે, 5 માર્ચની રાત્રે અમે આ સ્ટેડિયમને શાંત કરવામાં સફળ થઈશું.”
ટીમ ઇન્ડિયા વિશે સેમ કરને આગળ ઉમેર્યું કે, “ભારત ઘણું સારું રમી રહ્યું છે પરંતુ સ્ક્વોડમાં રહેલા મોટાભાગના ખેલાડીઓ એવા છે કે, જેમની સાથે અમે આઈપીએલમાં રમ્યા છીએ. આથી અમે કોઈપણ બાબતથી ડરેલા નથી અને બંને ટીમો આ સેમીફાઈનલ મેચના પડકારને સારી રીતે સમજે છે.” ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 ના T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પણ ભારત અને ઈંગ્લેન્ડ સામસામે હતા, જેમાં ભારતીય ટીમે 78 રનથી જીત મેળવી હતી.