ભારતીય ટીમ ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલમાં ટીમ ઈન્ડિયાથી બહાર છે. ઈજાને લઈ તે છેલ્લા કેટલાક મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો છે. આ દરમિયાન જાડેજાની ક્રિકેટના મેદાનમાં પરત ફરવાની રાહ જોવાઈ રહી છે. તો બીજી તરફ તેના સ્થાને અક્ષર પટેલ હાલમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. તેનુ પ્રદર્શન તેને પર્મેનેન્ટ બનાવશે કે નહીં તે સવાલો થઈ રહ્યા છે. અક્ષર પટેલ પણ રવિન્દ્ર જાડેજાની માફક બોલિંગ, બેટિંગ અને ફિલ્ડીંગમાં સ્ફૂર્તી ધરાવે છે. સતત શ્રેષ્ઠ પ્રદર્શનને લઈ તે હવે વિકલ્પ કરતા વધારે ટીમની જરુરિયાતમાં ફિટ બેસવા લાગ્યો છે.
આવી સ્થિતીમાં હવે રવિન્દ્ર જાડેજાને માટે હવે અક્ષર પટેલ સ્પર્ધા આપી રહ્યો છે. હાલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વ્હાઈટ બોલ સિરીઝમાં તે દમદાર પ્રદર્શન દર્શાવી ચુક્યો છે. તેણે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી બીજી વનડેમાં પણ શાનદાર કેચ ઝડપ્યા હતા. તેની છલાંગ લગાવીને ચિત્તા ઝડપે ઝડપેલો કેચનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. રવિન્દ્ર જાડેજા પણ મેદાનમાં ખૂબ ચપળ અને સ્ફૂર્તિલો જોવા મળે છે.
અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વિશ્વકપમાં ખાસ પ્રભાવ અપેક્ષાનુસાર બતાવી શક્યો નહોતો. પરંતુ ત્યારબાદથી તે સતત દેખાવ સારો કરવા લાગ્યો છે. વિશ્વકપમાં તે કુલ પાંચ મેચ રમ્યો હતો અને ત્રણ વિકેટ ઝડપી હતી. ઓલરાઉન્ડરના રુપમાં ત્યારબાદથી તે સારુ પ્રદર્શન કરી રહ્યો છે. અક્ષર પટેલને ઓલરાઉન્ડર તરીકે ટેસ્ટ, વનડે અને ટી20 એમ ત્રણેય ફોર્મેટની અંતિમ ઈલેવનમાં મોકો મળી રહ્યો છે. જે બતાવે છે કે, ટીમ ઈન્ડિયાને તેની પર ખૂબ ભરોસો છે અને તે ટીમની જરુરિયાત માટે ફિટ છે.
બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન અક્ષર પટેલે ચટગાંવ ટેસ્ટમાં 5 વિકેટ અને મીરપુર ટેસ્ટમાં 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા બાંગ્લાદેશ સામેની બે વનડે મેચમાં એક અડધી સદી અને 2 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં 117 રન નોંધાવ્યા હતા. જેમાં બે વાર અણનમ રહ્યો હતો અને એક વાર અડધી સદી નોંઘાવી હતી. આ દરમિયાન 3 વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રીલંકા સામે ચાલી રહેલી વર્તમાન વનડે સિરીઝમાં અક્ષરે 1 વિકેટ ઝડપી છે, જેમાં એક વાર 9 રનની અને બીજી વાર 21 રનની ઈનીંગ રમી હતી.
અત્યાર સુધીમાં 48 વનડે મેચમાં 379 રન 18.95ની એવરેજથી નોંધાવ્યા છે. દરમિયાન 2 અડધી સદી નોંધાવી છે. જયારે 56 વિકેટ 4.44ની ઇકોનોમી સાથે મેળવી છે. ટી20 ક્રિકેટમાં 40 મેચ રમીને 288 રન નોંઘાવ્યા છે. આ દરમિયાન તેણે 1 અડધી સદી નોંધાવી છે. તેની એવરેજ 22.15ની રહી છે. તેણે 56 વિકેટ પોતાને નામે કરી છે. જ્યારે ઈકોનોમી 7.48ની રહી છે.
અંતિમ 4 ટી20 મેચમાં જાડેજા 3 વાર બેટિંગનો મોકો મેળવી ચૂક્યો છે. જેમાં તેણે કુલ 78 રન નોંધાવ્યા છે. જેમાં 16, 27 અને 35 રનની ઈનીંગનો સમાવેશ થાય છે. આ દરમિયાન જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝમાં 3 મેચ રમ્યો હતો. જેમાં તેને 2 વાર બેટિંગનો મોકો મળ્યો હતો અને માત્ર 36 રન નોંધાવ્યા છે. દરમિયાન તેણે માત્ર 1 જ વિકેટ ઝડપી છે. આ અગાઉ તે ઈંગ્લેન્ડ સામે 2 ટી20 મેચ રમ્યો હતો અને જેમાં એકવાર 46 રનની અણનમ ઈનીંગ અને બીજી વાર 7 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેને એક પણ વિકેટ નસીબ થઈ શકી નહોતી. જુલાઈ મહિનામાં તેણે એક ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં સદી નોંઘાવી હતી, જ્યારે મેચમાં 3 વિકેટ પોતાને નામ કરી હતી.
વનડે ક્રિકેટમાં જાડેજા 171 મેચ રમી ચુક્યો છે, જેમાં 2447 રન નોંધાયેલા છે. આ દરમિયાન તેની એવરેજ 24.05 ની રહી છે. હાઈએસ્ટ સ્કોર 87 રનનો રહ્યો છે. તે 13 અડધી સદી નોંધાવી ચુક્યો છે. જ્યારે 189 વિકેટ હાંસલ કરી છે અને 4.92ની ઈકોનોમી રહી છે. ટી20 ફોર્મેટમાં 64 મેચ રમીને 457 રર નોંધાવ્યા છે. જેમાં એક પણ અડધી સદી નથી નોંધાવી. જ્યારે 51 વિકેટ 7.04 ની એવરેજ સાથે ઝડપી છે.