ગૌતમ ગંભીરને કોચ બનાવતા પહેલા કોહલીએ BCCI સાથે કરી વાતચીત, જાણો વિરાટે શું કહ્યું?

ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ શ્રીલંકા શ્રેણીથી શરૂ થઈ રહ્યો છે અને ગંભીરે વિરાટ કોહલી-રોહિત શર્માને આ પ્રવાસ પર વનડે શ્રેણીમાં રમવા માટે કહ્યું હતું, જેને ટીમ ઈન્ડિયાના બંને સ્ટાર બેટ્સમેનોએ સ્વીકારી હતી કારણ કે આ કોચ તરીકે ગંભીરની પ્રથમ સિરીઝ છે. જોકે ગૌતમ ગંભીરને કોચ બનાવતા પહેલા વિરાટ કોહલીએ BCCI ઓફિશિયલ્સ સાથે ખાસ વાતચીત કરી હતી. શું વાત થઈ હતી, એ અંગે હવે ખુલાસો થયો છે.

ગૌતમ ગંભીરને કોચ બનાવતા પહેલા કોહલીએ BCCI સાથે કરી વાતચીત, જાણો વિરાટે શું કહ્યું?
Virat Kohli & Gautam Gambhir
| Updated on: Jul 19, 2024 | 6:29 PM

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યા બાદ પ્રથમ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ રમાશે અને ત્યારબાદ આ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ પણ રમાશે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને સૌથી મહત્વની વાત એ છે કે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે શ્રેણીમાં વાપસી કરશે. હવે એક એવી વાત સામે આવી છે, જેના વિશે સોશિયલ મીડિયા પર ચાહકો ઘણી અટકળો અને દાવાઓ સાથે મજાક પણ કરી રહ્યા હતા. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીનો આ ભૂતકાળનો ઈતિહાસ છે.

ગંભીર અને કોહલી સાથે કામ કરી શકશે?

IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઈટલ જીત્યા બાદ ટીમના મેન્ટર ગૌતમ ગંભીરને ભારતના નવા મુખ્ય કોચ બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા હતા. ત્યારથી ગંભીર આ રેસમાં આગળ હતો. ત્યારથી સતત સવાલો ઉઠી રહ્યા હતા કે શું ગંભીર અને કોહલી સાથે કામ કરી શકશે? શું કોહલી નવા કોચ ગંભીર સાથે એડજસ્ટ થઈ શકશે? આ પ્રશ્નો એટલા માટે ઉઠાવવામાં આવ્યા હતા કારણ કે છેલ્લા 10 વર્ષમાં બે વખત IPL દરમિયાન ગંભીર અને કોહલી વચ્ચે લડાઈ થઈ હતી અને તેમના સંબંધોમાં ખટાશ હોવાનું કહેવાય છે.

કોહલીએ BCCIને શું કહ્યું?

જોકે, IPL 2024માં બંનેએ ગળે મળીને લાંબા સમય સુધી વાત કરી અને જૂની વાતો ભૂલીને આગળ વધવાનો સંકેત આપ્યો. તેમ છતાં, ટીમ ઈન્ડિયામાં ગંભીરની એન્ટ્રીને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન રહ્યો. હવે ક્રિકબઝના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જ્યારે ટીમ T20 વર્લ્ડ કપ દરમિયાન બાર્બાડોસમાં હતી ત્યારે BCCIના અધિકારીઓએ કોહલી સાથે આ અંગે વાત કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે કોહલીએ BCCI અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે તેને ગંભીર સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નથી.

ગંભીરની વાત સાથે સંમત થયો કોહલી

કોહલીએ બોર્ડને ખાતરી આપી હતી કે ડ્રેસિંગ રૂમમાં બંને વચ્ચેના જૂના મુદ્દાઓ તેમના સંબંધોમાં સમસ્યા નહીં બને કારણ કે તેઓ જાણે છે કે બંને દેશના હિતમાં કામ કરી રહ્યા છે. કોહલીની વાત એના પરથી પણ સમજી શકાય છે કે તે શ્રીલંકામાં વનડે સિરીઝ રમવા માટે રાજી થયો હતો. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે કોહલી અને રોહિત આ પ્રવાસમાંથી બહાર રહેશે અને બાંગ્લાદેશ પ્રવાસથી પરત ફરશે. ત્યારબાદ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગંભીરે બંનેને આ શ્રેણીમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી અને બંને સ્ટાર બેટ્સમેનો તેના માટે સંમત થયા હતા કારણ કે કોચ તરીકે ગંભીરની આ પ્રથમ શ્રેણી છે.

આ પણ વાંચો: Paris 2024 : ધોની-વિરાટનું નામ લઈ નીરજ ચોપરાએ ક્રિકેટ-જેવલીન પર કંઈક એવું કહ્યું, જેના થઈ રહ્યા છે ખૂબ વખાણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.