ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે તેની કારકિર્દીના છેલ્લા કેટલાક વર્ષો સારા રહ્યા નથી. તે રન માટે લડી રહ્યો છે. આ દરમિયાન તેણે ક્રિકેટમાંથી થોડો સમય બ્રેક પણ લીધો હતો. તે પોતાની જાતને ફ્રેશ કરીને પાછો આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિરાટે હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે કેટલીકવાર કરિયરની અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. તેમણે વર્ષોથી તેમના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે વાત કરી. કોહલી એશિયા કપ (Asia Cup 2022) દરમિયાન એકશનમાં જોવા મળશે.
જ્યારે કોહલીને તેના માનસિક સ્વાસ્થ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એક મીડિયા અહેવાલમાં કહ્યું, એથલીટની અંદરની શ્રેષ્ઠ રમત જ બહાર લાવી શકે છે. પરંતુ એક ખેલાડી તરીકે દબાણ માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરે છે. આ એકદમ ગંભીર મુદ્દો છે. આપણે હંમેશા મજબૂત બનવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ ક્યારેક એવું થતું નથી.
આગળ કહ્યુ કે, હું નવા ખેલાડીઓને એટલું જ કહેવા માંગુ છું કે હા શારીરિક તંદુરસ્તી મહત્વપૂર્ણ છે પરંતુ તમારી સાથે સંબંધ બાંધવો પણ મહત્વપૂર્ણ છે. મેં ઘણી વખત અનુભવ્યું છે કે હું એવા રૂમમાં છું જ્યાં બધા મને ખૂબ પ્રેમ કરે છે છતાં પણ હું એકલો અનુભવું છું. હું જાણું છું કે લોકો સમજી શકે છે કે હું શું કહેવા માંગુ છું. તેથી તમારી સાથે સંબંધ બાંધવા માટે સમય કાઢો. જો આમ નહીં થાય તો બીજી વસ્તુઓ પણ ખતમ થઈ જશે.
વ્યસ્ત શેડ્યૂલ બાદ કોહલી પોતાને ફ્રેશ રાખવા શું કરે છે? આ સવાલના જવાબમાં કોહલીએ કહ્યું, જ્યારે ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હોય છે, ત્યારે હું મારા પરિવાર પાસે જાઉં છું. મને તેમની સાથે સમય પસાર કરવો ગમે છે. તેનાથી મારો તણાવ ઓછો થાય છે. આ સિવાય મને કોફી પીવી ગમે છે. મને વિવિધ પ્રકારની કોફી પીવાનો શોખ છે.
કોહલી એશિયા કપ સાથે વાપસી કરશે. ભારતને T20 વર્લ્ડ કપથી ઘણી વધુ શ્રેણી રમવાની છે અને એવું માનવામાં આવે છે કે કોહલી ફોર્મમાં પરત ફરવા માટે આ તમામનો ભાગ બનશે.