વિરાટ કોહલી (Virat Kohli) એ 4 દિવસમાં બે વખત પોતાના મોટા નિર્ણયોથી ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું છે. 16 સપ્ટેમ્બરના રોજ, કોહલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક નિવેદન પોસ્ટ કર્યું અને T20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા (Team India) ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો. આ ઘોષણા પોતે જ ઘણી ચોંકાવનારી હતી. છેલ્લા 3 દિવસથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને દરેક પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે કોહલીએ IPL માં પણ આ જવાબદારી છોડવાનો નિર્ણય કર્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન વિરાટે કહ્યું છે કે તે UAE માં રમાઈ રહેલી IPL 2021 સીઝન બાદ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ પણ છોડી દેશે. જોકે, કેપ્ટન તરીકે આઈપીએલમાં કોહલીનો રેકોર્ડ બહુ સારો નથી અને આવી સ્થિતિમાં તેણે તેને પરિવર્તન માટે યોગ્ય સમય માન્યો.
વિરાટ કોહલીએ રવિવારે, 19 સપ્ટેમ્બરે એક વીડિયો દ્વારા પોતાના નિર્ણય વિશે જણાવ્યું હતું. યુએઈમાં આઈપીએલ 2021 સીઝનના બીજા ભાગમાં સોમવારે ટીમની મેચથી એક દિવસ પહેલા જ પોતાના નિર્ણય જાહેર કર્યો હતો. કોહલીએ કહ્યું કે તે પોતાના કામનો બોજ ઘટાડવા અને આરસીબીમાં પરિવર્તનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ નિર્ણય લઈ રહ્યો છે. જોકે, RCB ના કેપ્ટને સ્પષ્ટ કર્યું કે, તે IPL માં આ ફ્રેન્ચાઇઝી સિવાય અન્ય કોઇ ફ્રેન્ચાઇઝી માટે ક્યારેય નહીં રમે.
વિરાટ કોહલી છેલ્લા 9 વર્ષથી આ ટીમના કેપ્ટન છે. 2013 માં, તેણે આરસીબીની કેપ્ટનશીપ સંપૂર્ણપણે સંભાળી અને ત્યારથી તે આ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આટલા લાંબા સમય સુધી ટીમની કમાન સંભાળ્યા હોવા છતાં તેમનો રેકોર્ડ આ લીગમાં બહુ સારો નથી. કોહલીએ ટીમ ઇન્ડિયા સાથે ભલે આઈસીસી ટ્રોફી જીતી ન હોય, પરંતુ તેનો એકંદર રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. પરંતુ તે આઈપીએલમાં ટ્રોફી જીતવાની બાબતમાં ઘણો નિરાશ રહ્યો છે.