ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) એક બાદ એક ત્રીજી ICC ઇવેન્ટમાં ટ્રોફી મેળવવાથી દુર રહ્યુ છે. વિશ્વ ટેસ્ટ ચમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ હારી જતા ભારતીય ફેન્સ નિરાશ થયા હતા. તો વળી આ સાથે જ વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવતી ચર્ચાઓ શરુ થઇ હતી. જોકે હવે કોહલી માટે તુરત જ વધુ એક કસોટી સામે આવી રહી છે. T20 વિશ્વકપ (World Cup) માં ભારતીય ટીમના પ્રદર્શનને આધાર કોહલીનુ ભવિષ્ય નક્કી થશે.
સ્વાભાવિક છે કે, WTC ફાઇનલ મેચ હાર્યા બાદ વિરાટ કોહલી પર દબાણ ખૂબ સર્જાઇ રહ્યુ હશે. ઇંગ્લેંન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમનુ પ્રદર્શન શ્રેષ્ઠ રહેવુ જરુરી છે. ત્યારબાદ T20 વિશ્વકપ સામે હશે. વિશ્વકપને લઇને સૌની નજર બારીકાઇથી વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર રહેશે. પૂર્વ ક્રિકેટર સબા કરીમે કોહલી પરના દબાણની વાત કરી હતી. સાથે જ દાવો કર્યો હતો કે કોહલી પર ટ્રોફીને લઇ દબાણ છે. સાથે જ તેની કેપ્ટશીપ માટે નિર્ણાયક બનવાની વાત કહી હતી.
ભારતીય ક્રિકેટ ટીમની આગેવાની વિરાટ કોહલી એ 2015 માં ટેસ્ટ ક્રિકેટમાં સંભાળી હતી. આ સાથે જ તેની ટીમ ઇન્ડીયાના કેપ્ટનશીપની સફર શરુ થઇ હતી. ત્યારબાદ 2017 માં વન ડે અને T20 ફોર્મેટમાં પણ કેપ્ટનશીપની જવાબદારી મળી હતી. તેની કેપ્ટનશીપ દરમ્યાન ભારતીય ટીમ ICC ટ્રોફી જીતી શકી નથી. WTC ગુમાવ્યા પહેલા 2019માં વિશ્વકપમાં સેમીફાઇનલથી જ ટીમ બહાર થઇ ગઇ હતી. જ્યારે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પાકિસ્તાન સામે હારી હતી.
આ દરમ્યાન BCCI ના પૂર્વ ક્રિકેટ ઓપરેશન્સ જનરલ મેનેજર રહી ચુકેલા સબા કરીમે કોહલી પર દબાણની વાત કહી હતી. મીડિયા રિપોર્ટનુસાર તેમણે કહ્યુ, આ વર્ષના અંતમાં રમાનાર T20 વિશ્વકપ વિરાટ કોહલીની કેપ્ટનશીપ કરિયરના માટે ખૂબ જ મહત્વની સાબિત થવા જઇ રહ્યો છે. વિરાટ પર દબાણ વધી રહ્યુ છે અને તે જાણે છે કે, અત્યાર સુધી આઇસીસી ટ્રોફી નથી જીતી.
આગળ કહ્યુ હતુ કે, માટે તેનું લક્ષ્ય હશે કે, ભારત આ T20 વિશ્વકપ જીતે. જો ભારતીય ટીમ વિશ્વકપ જીતવામાં સફળ રહે છે, તો વિરાટ કોહલીને કેટલોક સમય મળી રહેશે. જેનાથી તે પોતે નક્કી કરી શકશે કે તે કેટલો સમય કેપ્ટન રહી શકે છે. કરીમે આગળ કહ્યુ, મને લાગે છે કે, એક જ કેપ્ટન હોવો એ વધારે ભાર રહે છે. દરેક ફોર્મેટ માટે તમારે તાજા અને નવા વિચારાની જરુર છે. મને લાગે છે કે, આગળ વધવા માટે વહેંચાયેલી કેપ્ટનશીપ જ યોગ્ય રસ્તો છે.