T20 World Cup: હાર્દિક પંડ્યાને લઇને ટીમ ઇન્ડીયાનો છે આવો નિર્ણય, વેંકટેશ ઐય્યર નિભાવશે આ ભૂમિકા !
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) મેનેજમેન્ટ અને પસંદગીકારો હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની ફિટનેસને લઈને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને આવી સ્થિતીમાં તેના સ્થાને અન્ય ખેલાડીને સામેલ કરવાની માંગ છે.
ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં કેટલાક ફેરબદલની શક્યતા છે. જેમાં મોટી ચર્ચા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની સ્થિતિ વિશે છે. હાર્દિકની ફિટનેસને કારણે ટીમમાં તેના રહેવાને લઇને સવાલ રહે છે. પીઠની ઈજાથી પીડાઈ રહેલા હાર્દિક પંડ્યાની બોલિંગ કરવા અંગેની મૂંઝવણને કારણે આ પરિસ્થિતી ઉભી થઈ છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું 15 ઓક્ટોબર સુધી ટીમ ઇન્ડીયા (Team India) માં કોઈ ફેરફાર શક્ય છે? હાર્દિકના સ્થાને અન્ય કોઈનો સમાવેશ થશે?
એક અહેવાલ મુજબ, કદાચ ભારતીય પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે હાર્દિકને લઈને પોતાનું મન બનાવી લીધું છે. કે તેને માત્ર નિષ્ણાત બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, IPL 2021 માં ધૂમ મચાવનાર યુવાન ઓલરાઉન્ડર વેંકટેશ ઐય્યર (Venkatesh Iyer)ને હાર્દિક માટે કવર તરીકે સામેલ કરી શકાય છે.
ગયા મહિને ભારતીય ટીમની પસંદગી દરમ્યાન, મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું હતું કે, હાર્દિક વર્લ્ડ કપમાં દરેક મેચમાં ચાર ઓવર પૂરી કરવાની સ્થિતિમાં હશે. આ નિવેદન બાદ ટીમ ઈન્ડીયા માટે પ્લેઈંગ ઈલેવનના સંતુલનની સ્થિતી યોગ્ય લાગી રહી હતી. પરંતુ યુએઈમાં રમાઈ રહેલી IPL 2021 ના બીજા ભાગમાં હાર્દિકે મુંબઈ ઈન્ડીયન્સ તરફથી રમતી વખતે એક પણ વખત બોલિંગ કરી ન હતી. પ્રથમ બે મેચમાં પણ તે ફિટનેસને કારણે બહાર રહ્યો હતો. ત્યારથી હાર્દિકની બોલિંગ ક્ષમતા અને ટીમમાં તેના સ્થાન પર પ્રશ્નો ઉભા થયા છે.
હાર્દિક ફક્ત બેટીંગ કરશે, ઐય્યર કવર તરીકે રહેશે
ભારતીય ટીમને 15 ઓક્ટોબર સુધી પોતાની 15 સભ્યોની ટીમમાં ફેરફાર કરવાની તક છે. આવી સ્થિતિમાં, ફેરબદલની શક્યતા વચ્ચે, મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે હાર્દિક યુએઈમાં ટીમના બાયો-બબલનો ભાગ બનશે. એવી સંભાવના છે કે તેને ટીમમાં એક બેટ્સમેનના રુપમાં જ સામેલ કરવામાં આવશે.
હાર્દિકની ફિટનેસને લગતા પ્રશ્નને ધ્યાનમાં રાખીને, પસંદગીકારો વેંકટેશ ઐય્યરને કવર તરીકે ટીમના બાયો-બબલમાં રહેવા માટે કહી શકે છે. વેંકટેશ ઐય્યરે યુએઈમાં જ આઈપીએલની શરૂઆત કરી હતી. તે આક્રમક બેટિંગ સાથે ઉપયોગી મીડિયમ પેસ બોલીંગ પણ કરી શકે છે. જો કે, ભારત પાસે ઓલરાઉન્ડર તરીકે શાર્દુલ ઠાકુરનો વિકલ્પ પણ છે, જેને રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
વેંકટેશ ઐય્યર કોણ છે?
26 વર્ષીય વેંકટેશ ઐય્યરે એ જ સિઝનમાં યુએઈમાં આઈપીએલની શરૂઆત કરી હતી. કોલકાતા (KKR) તરફથી રમતા વેંકટેશે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની શરૂઆતની મેચમાં 41 રન બનાવ્યા હતા. આ પછી, અય્યરે કેટલીક અન્ય સારી ઇનિંગ્સ રમી, જેમાં મુંબઈ ઇન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ સામે અડધી સદીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, વેંકટેશે મધ્યમ ઓવરોમાં પોતાની મધ્યમ ગતિની શક્તિ પણ દર્શાવી અને કરકસર ભરી બોલિંગ સાથે વિકેટ પણ લીધી. તેણે IPL માં 8 મેચમાં 265 રન બનાવ્યા છે, જ્યારે 3 વિકેટ પણ તેના ખાતામાં આવી હતી.