T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં ટોપ પર છે અને સતત ત્રણ મેચ જીતીને સુપર-8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂયોર્કની પિચ ચોક્કસપણે મુશ્કેલ હતી છતાં ટીમ જીતની હેટ્રિક ફટકારવામાં સફળ રહી. જોકે, ન્યૂયોર્કમાં યોજાયેલી મેચોએ ટીમ ઈન્ડિયા માટે મોટો પ્રશ્ન છોડી દીધો છે. સવાલ એ છે કે શું વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવો જોઈએ? શું યશસ્વી જયસ્વાલને તેની જગ્યાએ ફરીથી ઓપનિંગ કરાવવું જોઈએ? જો આવું થાય તો તેના શું ગેરફાયદા થઈ શકે છે.
સૌથી પહેલા તો જાણી લો કે વિરાટ કોહલીની ઓપનિંગને લઈને હોબાળો કેમ થઈ રહ્યો છે? વિરાટ કોહલી પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરી રહ્યો છે અને તે સતત ત્રણ ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે. તે આયર્લેન્ડ સામે 1, પાકિસ્તાન સામે 4 અને અમેરિકા સામે તે પ્રથમ બોલ પર 0 રને આઉટ થયો હતો. મતલબ, T20 વર્લ્ડ કપમાં વિરાટ ત્રણ મેચમાં માત્ર 5 રન જ બનાવી શક્યો છે. આ જ કારણ છે કે હવે ઘણા ક્રિકેટ નિષ્ણાતો તેને ફરીથી નંબર 3 પર રમવાની સલાહ આપી રહ્યા છે.
હવે સવાલ એ છે કે વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવામાં આવે તો શું નુકસાન થશે? ચાલો તમને જણાવીએ કે હવે ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીનો બેટિંગ નંબર બદલવાની ચિંતા કેમ કરવી પડી શકે છે. જો હવે વિરાટ કોહલીને પડતો મુકાયો તો કોને ટીમમાંથી બહાર કરવામાં આવશે? કારણ કે જો વિરાટ કોહલી ઓપન નહીં કરે તો નિયમિત ઓપનર યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવો પડશે અને પછી શિવમ દુબે અથવા રવીન્દ્ર જાડેજામાંથી કોઈ એકને પડતો મૂકવો પડી શકે છે.
જો વિરાટને ઓપનિંગમાંથી હટાવીને નંબર 3 પર રમાડવામાં આવે તો સવાલ એ છે કે રિષભ પંતનું શું થશે? જો વિરાટ ઓપન નહીં કરે તો પંતને નંબર 3 પોઝિશન પરથી હટાવવો પડશે. હાલમાં, તેને ટોપ ઓર્ડરમાં સ્થાન આપવામાં આવ્યું છે અને જ્યારે વિરાટ નંબર 3 પર પાછો ફરશે, ત્યારે તેને ફિનિશરની ભૂમિકામાં રાખવો પડશે કારણ કે નંબર 4 પર સૂર્યકુમાર યાદવ રમે છે.
આ પણ વાંચો : T20 World Cup 2024: કેપ્ટન પર પ્રતિબંધ લગાવવો જોઈએ, 5 રનની પેનલ્ટી પર વીરેન્દ્ર સેહવાગે કેમ આવું કહ્યું?
Published On - 8:51 pm, Thu, 13 June 24