વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) રવિવારથી શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup-2021) માં જીત માટે પ્રબળ દાવેદાર બનવા જઈ રહી છે. ભારતની ટીમમાં રહેલા ખેલાડીઓ તાજેતરમાં IPL 2021 રમીને આવ્યા છે. ટીમના મોટાભાગના ખેલાડીઓએ સારો દેખાવ કર્યો છે. જોકે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટ (Salman Butt) ને લાગે છે કે ભારતીય ટીમમાં એક બેટ્સમેન છે, જે હવે પ્રિડીક્ટેબલ બની ગયો છે.
સલમાનના મતે, યુવા વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ને વધુ પરિપક્વ બેટિંગ કરવાની જરૂર છે. સલમાને કહ્યું કે પંત કેવી રીતે બેટિંગ કરશે, તેનો અંદાજો હવે લગાવી શકાય છે. ભારતીય ટીમ પાકિસ્તાન સામે થી જ પોતાના અભિયાનની શરૂઆત કરશે. 24 ઓક્ટોબરે બંને ટીમો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે.
બટ્ટે એક સોશિયલ મીડિયા વિડીયો પર આ વાત કહી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે પંત પાકિસ્તાન અથવા અન્ય કોઈ ટીમ સામે મોટું ફેક્ટર બની શકે છે. સલમાને કહ્યું, અમે શું કહી શકીએ? તેનો મૂડ અચાનક બદલાય છે અને તે આગળ વધે છે અને ફટકારે છે. પરંતુ તે આમ સતત કરે છે. આમ અનેક વખત કરે છે, કે સામેની ટીમને ખ્યાલ આવે છે કે હવે તે આગળ જઈને મારવાનો છે.
આગળ કહ્યુ કે, મને લાગે છે કે તે હવે થોડો પ્રિડીક્ટેબલ બની ગયો છે. તેથી તેણે હવે વધુ પરિપક્વતા સાથે બેટિંગ કરવાની જરૂર છે. તે ખૂબ જ પ્રતિભાશાળી છે. તેની પાસે ઘણાં શોટ છે. તે બે-ત્રણ બોલ પછી બહાર આવીને મારે છે અથવા ક્યારેક તે પ્રથમ બોલ પર પણ આમ કરે છે.
પંતે IPL 2021 માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી હતી. તે ટીમને પ્લેઓફમાં લઈ ગયો હતો. શ્રેયસ ઐય્યરને સિઝન પહેલા ઈજા થયા બાદ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઐય્યરના પરત ફર્યા છતાં પણ તે કેપ્ટન રહ્યો હતો. તેણે તે સિઝનમાં બેટથી પણ સારો દેખાવ કર્યો હતો. પંતે 16 મેચમાં 419 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 128.52 હતો.
આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં તે 10 માં નંબરે હતો. હવે તે ભારતને બીજી વખત ટી20 વર્લ્ડ કપ વિજેતા બનાવવાનો પ્રયત્ન કરશે. પંતની ગણતરી તોફાની બેટ્સમેનોમાં થાય છે અને જો તેનું બેટ રમવા લાગે તો, બોલરો પર આફત આવવાનું નિશ્ચિત થઇ જાય છે.
Published On - 9:16 pm, Sun, 17 October 21