T20 વિશ્વકપ (World Cup) 2021નું યજમાન પદ ભારત પાસે છે. કોરોનાની બીજી લહેરની સ્થિતીને લઈ ભારતમાં વિશ્વકપ યોજવાને લઈને સંકટ તોળાઈ રહ્યું છે. જોકે હજુ BCCI પાસે સ્થળ સંદર્ભે નિર્ણય લેવા માટે બે સપ્તાહનો સમય છે. આગામી 28 જૂન સુધીનો સમય ICCએ નિર્ણય લેવા માટે આપ્યો છે. જોકે ICCએ UAE અને ઓમાનને બેકઅપ પ્લાન તરીકે તૈયાર રાખ્યો છે. દરમ્યાન ICCના CEOએ કહ્યું કે આપણે હવે નિર્ણયને લઈને નિશ્ચિત થવાની જરુર છે.
ભારતમાં એપ્રિલ અને મે માસ દરમ્યાન કોરોનાએ તેનુ વિકરાળ સ્વરુપ દર્શાવ્યુ હતુ. હજુ ત્રીજી લહેર ઓક્ટોબર નવેમ્બર માસમાં આવનારી હોવાની આશંકાઓ દર્શાવાઈ રહી છે. આ દરમ્યાન જ ICC T20 વિશ્વકપનું આયોજન કરવાનો સમયગાળો છે. કોરોનાને લઈને વિશ્વકપના આયોજનેને લઈને મુશ્કેલીઓ નડી રહી છે. ત્યાં હવે વિશ્વકપનું આયોજન ભારત બહાર ખસેડવાને લઈને વિચારણા ગંભીર બની રહી છે.
ICCના કાર્યકારી CEO જ્યોફ અલાર્ડિસે (Geoff Allardice) કહ્યું અમારે ટુર્નામેન્ટને લઈને સ્વીકૃત સમયમર્યાદામાં ટૂર્નામેન્ટ પૂર્ણ કરાવવાની જરુરિયાત છે. યોજના બનાવવાની દૃષ્ટીથી અમારે નિશ્ચિતતા જોઈએ છે. કોરોનાને લઈને લાગેલા પ્રતિબંધના સમયમાં વૈશ્વિક ટૂર્નામેન્ટના આયોજનને લઈને જટીલતા ફરી પેદા થઈ છે.
CEOએ કહ્યું પ્રવાસને લઈને નિયંત્રણો છે. અન્ય દેશોમાં પ્રવેશ માટે નિયમો છે. અંતિમ નિર્ણયને લઈને હવે કેટલાક દિવસ બાકી છે. અમારે નિર્ણયને લઈને નિશ્ચિતતાની જરુર છે કે ટૂર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવશે. અમે મેચોનો કાર્યક્રમ તૈયાર કરવાની શરુઆત કરી શકીએ છીએ. તેમજ તમામ યોજનાઓ બનાવી શકીએ છીએ. બોર્ડ જૂન માસના અંતમાં નિર્ણય કરશે. આ દરમ્યાન અમે પ્રતિદિનના ધોરણે BCCI સાથે વાતચીત કરીએ છીએ.
અલાર્ડિસે આગળ કહ્યું બજેટ અને અન્ય મુદ્દાઓ પણ છે. આ સમયમાં તેનાથી વધારે કઈ કહી શકાય નહીં કે નિર્ણય મહિનાના અંતમાં કરવામાં આવશે. તેમણે આશ્વાસન આપ્યુ હતુ કે, જો ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરવામાં આવશે તો તમામ સભ્ય દેશોને ભરોસોમાં લઈને એમ કરવામાં આવશે.
આગળ ઉમેર્યુ હતુ, ICCના તમામ નિર્ણયો બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જેમાં તમામ સદસ્ય દેશોના પ્રતિનિધિ સામેલ છે. મેચોનું આયોજન ક્યાં કરવામાં આવશે, તેના અંગેનો નિર્ણય કરતા વખતે બોર્ડની નજરમાં હંમેશા સભ્ય દેશો અને ખેલાડીઓના દૃષ્ટીકોણની ઝલક મળે છે.
આ પણ વાંચો: WTC Final: ટૂર્નામેન્ટમાં ભારત કે ન્યુઝીલેન્ડ બંનેમાંથી કયા દેશનાં બેટ્સમેનોનો રહયો છે દમ, જાણો