
T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયા પોતાનો પહેલો મુકાબલો આજે યુએસએ સામે રમશે. મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પિચ રિપોર્ટને લઈને ચર્ચા તેજ છે, કારણ કે વાનખેડે હંમેશા હાઈ-સ્કોરિંગ મેચો માટે જાણીતું રહ્યું છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં નવા રેકોર્ડ સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહી છે.
વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 9 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ ચૂકી છે. તેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 4 વખત જીત મેળવી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરનારી ટીમ 5 વખત વિજયી રહી છે. ભારતીય ટીમે અહીં 6 મેચ રમી છે, જેમાંથી 4 જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ભારતનો સર્વોચ્ચ સ્કોર 247 રન છે, જે ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામે બનાવાયો હતો.
પિચની વાત કરીએ તો વાનખેડેની પિચ લાલ માટીની બનેલી છે, જે બોલરોને શરૂઆતમાં ઉછાળો આપે છે, પરંતુ સમય જતાં બેટિંગ માટે વધુ અનુકૂળ બની જાય છે. ઝડપી આઉટફિલ્ડના કારણે ચોગ્ગા-છગ્ગાની ભરમાર જોવા મળે છે. મેચ આગળ વધતાં બોલરો માટે મુશ્કેલી વધી જાય છે, તેથી ટોસ જીતનારી ટીમ સામાન્ય રીતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લે છે.
આ મેચમાં ઈશાન કિશન વિકેટકીપર તરીકે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકે છે. જસપ્રીત બુમરાહના ન રમવાથી મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. બેટિંગમાં ઇશાન કિશન, અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે. જો ભારત પહેલા બેટિંગ કરે તો 300 રનનો આંકડો પણ અશક્ય નથી, અને ચાહકોને એક રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે.