
ભારતે T20 વર્લ્ડ કપ 2026 માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. ભારતે USA સામે પોતાની પહેલી મેચ જીતી લીધી છે. મુંબઈના વાનખેડે મેદાન પર રમાયેલી T20 વર્લ્ડ કપની પોતાની પહેલી મેચમાં ભારતે USA માટે 162 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેનો પીછો કરતા USA 29 રનથી પાછળ રહી ગયું. ભારતને જીત મળી અને તે જીત સાથે 2 પોઈન્ટ પણ મળ્યા. ભારતની આ જીતનો હીરો સૂર્યકુમાર યાદવ હતો, જેણે મુશ્કેલ સમયમાં ઈનિંગને સંભાળી હતી.
વાનખેડે ખાતે રમાયેલી મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી હતી. જોકે, ટીમની શરૂઆત અપેક્ષા મુજબ નહોતી રહી. અભિષેક શર્મા ગોલ્ડન ડક પર આઉટ થયો અને બાદમાં પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ, ભારતની સ્થિતિ બગડવા લાગી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી. બીજા છેડે વિકેટ પડતી રહી, પરંતુ સૂર્યકુમાર યાદવ અંત સુધી અણનમ રહ્યો, તેણે 49 બોલમાં 84 રન બનાવ્યા. 171.42 ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી તેની ઈનિંગમાં ચાર છગ્ગા અને 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
સૂર્યકુમાર યાદવની શાનદાર ઈનિંગને કારણે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 161 રન બનાવ્યા, જેને ડીફેન્ડ કરતા ભારતીય બોલરોએ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. 162 રનના લક્ષ્યનો પીછો કરતા, યુએસએ ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી. પરિણામે, તેઓ 20 ઓવરમાં 8 વિકેટે ફક્ત 132 રન જ બનાવી શક્યા અને 29 રનથી મેચ હારી ગયા.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચમાં પાંચ બોલરોનો ઉપયોગ કર્યો જેમાંથી ચાર બોલરોએ વિકેટ લીધી. ભારત તરફથી મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર રહ્યો, તેણે ત્રણ વિકેટ લીધી. અક્ષર પટેલે બે વિકેટ લીધી, જ્યારે અર્શદીપ સિંહે પણ બે અને વરુણ ચક્રવર્તીએ એક વિકેટ લીધી.
સૂર્યકુમાર યાદવને તેની કેપ્ટન ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ 17મી વખત છે જ્યારે સૂર્યાને T20I માં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.
Published On - 11:00 pm, Sat, 7 February 26