આઈસીસી (ICC)એ ઈન્ટરનેશનલ ટી-20 મેચ (T20 Match)માં ધીમી ઓવર રેટ પર પેનલ્ટીનો નિયમ લાગુ કરી દીધો છે. સાથે જ મેચ દરમિયાન ડ્રિંક્સ ઈન્ટરવલ લેવા માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે. જાન્યુઆરી 2022થી આ નિયમ લાગુ થઈ જશે.
નવા નિયમો હેઠળ જો કોઈ ટીમ ઓવરરેટમાં નક્કી સમયથી પાછળ હશે તો બાકીની વધેલી ઓવરોમાં એક ફિલ્ડર 30 યાર્ડની ત્રિજ્યાની બહાર ઊભા રહી શકશે નહીં. તેને 30 યાર્ડની અંદર ઉભા રહેવું પડશે. હાલમાં પાવરપ્લે બાદ 30 યાર્ડની બહાર 5 ફિલ્ડર ઉભા રહી શકે છે પણ નવા નિયમો હેઠળ જો ટીમની ભૂલ હશે તો માત્ર ચાર ફિલ્ડર જ બહાર રહી શકશે.
આઈસીસી તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઓવરરેટના નિયમ પહેલાથી જ નક્કી છે. તેની હેઠળ ફિલ્ડિંગ કરનારી ટીમ નક્કી સમયમાં છેલ્લી ઓવરનો પ્રથમ બોલ ફેંકવાની સ્થિતિમાં હોવી જોઈએ. જો તેઓ આ કરી શકતા નથી તો બાકીની ઓવરોમાં તેમની પાસે 30 યાર્ડની બહાર એક ઓછો ફિલ્ડર રહેશે.
આ ફેરફાર આઈસીસી ક્રિકેટ કમિટીની ભલામણ બાદ લાગુ કરવામાં આવ્યો છે. તેમને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી આયોજિત ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં આ પ્રકારનો નિયમ જોયા બાદ વિચાર કર્યો, આવુ તમામ ફોર્મેટમાં રમતની ગતિ સુધારવા માટે કરવામાં આવ્યું છે.
આઈસીસીનો આ નવો નિયમ 16 જાન્યુઆરીથી જમૈકાના સબીના પાર્કમાં વેસ્ટઈન્ડીઝ અને આયરલેન્ડની વચ્ચે યોજાનારી એક માત્ર ટી20 આંતરરાષ્ટ્રીય મેચથી લાગુ થશે. ત્યારે મહિલા ક્રિકેટમાં 18 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે સેન્ચુરિયનમાં શરૂ થઈ રહેલી 3 મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ આ નિયમો હેઠળ પ્રથમ સિરીઝ હશે.
આ પણ વાંચો: Ashes 2021: ઓસ્ટ્રેલિયાના નવોદિતે કરિયરની પ્રથમ 12 ઓવર કોઇ વિકેટ નહીં, પરંતુ પછીની 10 ઓવરમાં 9 શિકાર ઝડપ્યા