ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સુપ્રીમ કોર્ટ (Suprem Court) માં દાખલ કરવામાં આવેલી અપીલ પર બુધવારે સુનાવણી થવાની છે. બીસીસીઆઈએ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly), સચિવ જય શાહ (Jay Shah) સહિત અન્ય અધિકારીઓના કાર્યકાળ સાથે સંબંધિત નિયમમાં ફેરફાર કરવાની પરવાનગી માંગી છે અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. હવે આ કેસમાં વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે બોર્ડ વતી વર્ચ્યુઅલ માધ્યમથી હાજર થશે.
મળતી માહિતી મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ને સુપ્રીમ કોર્ટ દ્વારા આ માટે પરવાનગી આપવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમના, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલીની બેંચ સમક્ષ બીસીસીઆઈની અપીલ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેને મંજૂરી આપવામાં આવી છે. હરીશ સાલ્વેની ગણતરી દેશના સૌથી વરિષ્ઠ અને મોંઘા વકીલોમાં થાય છે.
સૌરવ ગાંગુલી (Souravv Ganguly) અને જય શાહ (Jay Shah) નો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. પરંતુ તે પહેલા જ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી કૂલિંગ ઑફ પીરિયડ વધારવાની પરવાનગી માંગી છે. આ માટે નિયમોમાં કેટલાક ફેરફાર કરવા પડશે. જે સુપ્રીમ કોર્ટની પરવાનગી પછી જ થઈ શકશે.
બોર્ડ દ્વારા ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટમાં આ મામલે તાકીદે સુનાવણી કરવા અપીલ કરવામાં આવી હતી. જેના પર કોર્ટે સંમતિ આપી હતી. વર્તમાન નિયમ અનુસાર જો કોઈ અધિકારી સતત 6 વર્ષ સુધી બીસીસીઆઈમાં કોઈ પણ પદ ધરાવે છે. તો 3 વર્ષનો કુલિંગ ઓફ પીરિયડ પર જશે.
એટલે કે આ ત્રણ વર્ષ સુધી તેઓ કોઈ પદ પર રહેશે નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આમાં ફેરફાર કરવા માંગે છે. આ સિવાય બીસીસીઆઈ ના બંધારણમાં કેટલાક ફેરફારો કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે. બીસીસીઆઈના પ્રમુખ બનતા પહેલા સૌરવ ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળમાં સક્રિય હતા. જ્યારે સેક્રેટરી બનતા પહેલા જય શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (Gujarat Cricket Association) માં સક્રિય હતા.