IPL 2025 બાદ રોહિત શર્મા કરાવશે સર્જરી, છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે

રોહિત શર્મા IPL 2025માં રમી રહ્યો છે અને આ દરમિયાન તેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે રોહિત શર્મા IPL 2025 પછી સર્જરી કરાવવાનો છે, જાણો તે છેલ્લા પાંચ વર્ષથી કઈ સમસ્યાથી પીડાઈ રહ્યો છે?

IPL 2025 બાદ રોહિત શર્મા કરાવશે સર્જરી, છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે
Rohit Sharma
Image Credit source: GETTY IMAGES
| Updated on: May 21, 2025 | 10:38 PM

રોહિત શર્માએ તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે અને હવે તે ફક્ત ODI ટીમનો કેપ્ટન છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આ દિગ્ગજ ખેલાડી IPL 2025 પછી સર્જરી કરાવશે. અહેવાલો અનુસાર, રોહિત છેલ્લા પાંચ વર્ષથી એક સમસ્યાથી પીડાઈ રહ્યો છે જેના કારણે તેને ઘણું નુકસાન થયું છે. વાસ્તવમાં રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે. તેની યોગ્ય સારવાર ફક્ત સર્જરી દ્વારા જ થઈ શકે છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે IPL પછી આ ઓપરેશન કરાવવા જઈ રહ્યો છે.

રોહિત શર્માની સર્જરી થશે

જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ રમવા માંગે છે અને આ તેના માટે સર્જરી કરાવવાનો યોગ્ય સમય છે. રોહિત શર્મા ઘણા સમયથી આ સર્જરી મુલતવી રાખી રહ્યો હતો કારણ કે તે ટીમનો કેપ્ટન હતો અને મોટી ટુર્નામેન્ટને કારણે તે સર્જરી કરાવી શક્યો ન હતો, પરંતુ હવે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે તેની પાસે સર્જરી કરાવવા અને તેમાંથી સ્વસ્થ થવા માટે પૂરતો સમય છે.

રોહિત શર્મા પાસે પુષ્કળ સમય છે

રોહિત શર્મા હવે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો નથી. આગામી 3 મહિના સુધી કોઈ ODI શ્રેણી નથી. આવી સ્થિતિમાં, રોહિત પાસે સ્વસ્થ થવા માટે પૂરતો સમય છે. રોહિત શર્માની 2016માં ક્વોડ્સ ટેન્ડન પર સર્જરી થઈ હતી, જેમાંથી સ્વસ્થ થવામાં તેમને 3 મહિના લાગ્યા હતા. હેમસ્ટ્રિંગ સર્જરીમાંથી સ્વસ્થ થવામાં તેને 3-4 મહિના લાગી શકે છે.

2027નો વર્લ્ડ કપ જીતવા ફિટ રહેવું પડશે

ભારતે આગામી વનડે શ્રેણી બાંગ્લાદેશ સામે રમવાની છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો પણ કડવાશભર્યા હોવાથી આ સીરિઝ યોજાશે એની હજી પુષ્ટિ થઈ નથી. આનો અર્થ એ થયો કે રોહિતને IPL 2025 પછી સર્જરી કરાવવામાં અને તેમાંથી સ્વસ્થ થવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. જો રોહિત 2027નો વર્લ્ડ કપ જીતવા માંગે છે, તો તેણે સંપૂર્ણપણે ફિટ રહેવું પડશે અને આ સર્જરી તેના માટે ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પહેલીવાર મેદાન પર આવ્યો રોહિત શર્મા, માત્ર 5 રન બનાવી થયો આઉટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો