ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ના કોરોના ટેસ્ટનો તાજો રિપોર્ટ આવ્યો છે અને તે ટીમ ઈન્ડિયા માટે રાહત લઈને આવ્યો છે. લગભગ એક અઠવાડિયા પછી, રોહિત શર્મા કોરોનામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે અને આઈસોલેશનમાંથી બહાર આવી ગયો છે. એજબેસ્ટન ટેસ્ટ મેચ રોહિત શર્માએ કોરોના સંક્રમણને લઈ ગુમાવી હતી. પરંતુ હવે રોહિત ટી20 સિરીઝમાં મેદાને ઉતરીને ભારતીય ટીમ (Indian Cricket Team) ની આગેવાની સંભાળી શકશે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વિના ટેસ્ટ મેચમાં પણ તેની ખોટ વર્તાઈ રહી હતી. જોકે જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) તેના સ્થાને ટીમનુ સુકાન સંભાળ્યુ હતુ અને ત્રીજા દિવસની રમત રમાઈ રહી છે, ત્યાં સુધી ભારતીય ટીમને મજબૂત સ્થિતીમાં લાવી દીધુ છે.
રોહિતને એક સપ્તાહ પહેલા એટલે કે ગત રવિવાર, 26 જૂનના રોજ કોરોના સંક્રમિત થયો હતો, જેના કારણે તે પ્રેક્ટિસ મેચમાં બીજી વખત બેટિંગ કરવા આવ્યો ન હતો. હવે તે એક અઠવાડિયાના આઇસોલેશન પછી ફિટ છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આ વિશે પીટીઆઈ-ભાષાને કહ્યું, હા, રોહિત તપાસમાં નેગેટિવ આવ્યો છે. હવે તે મેડિકલ પ્રોટોકોલ મુજબ આઈસોલેશનમાંથી બહાર છે.
ભારતીય કેપ્ટન 7 જુલાઈથી શરૂ થનારી T20 શ્રેણીમાં ટીમની કમાન સંભાળશે, પરંતુ 3 જુલાઈ, રવિવારના રોજ પ્રેક્ટિસ મેચમાં રમી શકશે નહીં. બીસીસીઆઈના એક અધિકારીએ આ વિશે જણાવ્યું હતું કે, “તે આજે નોર્થમ્પટનશાયર સામેની ટી20 પ્રેક્ટિસ મેચનો ભાગ નહીં હોય કારણ કે તેને શરૂઆતની ટી20 ઈન્ટરનેશનલ મેચ પહેલા આરામ અને પ્રેક્ટિસની જરૂર છે. મેડિકલ પ્રોટોકોલ મુજબ, કોવિડ-19 આઈસોલેશનમાંથી બહાર આવ્યા પછી કોઈપણ ખેલાડીએ ફેફસાની ક્ષમતા તપાસવા માટે ફરજિયાત હાર્ટ ટેસ્ટ કરાવવો પડે છે.
રોહિત સંક્રમિત થવાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો, જેના કારણે તે એજબેસ્ટન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટમાં રોહિતને રમવા માટે બેતાબ હતી, પરંતુ મેચની શરૂઆત પહેલા તેણે ત્રણ વખત કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ કર્યો હતો. આવી સ્થિતિમાં ટીમે જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આટલું જ નહીં, રોહિતની ગેરહાજરીમાં ટીમને તેના બંને અગ્રણી ઓપનર રોહિત અને કેએલ રાહુલ વગર જ જવું પડ્યું હતું. તેમના સ્થાને શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાને ઓપનિંગમાં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ બંને આ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હતા.
Published On - 8:03 pm, Sun, 3 July 22