ભારતીય ક્રિકેટ જગતના ઓલરાઉન્ડર ખેલાડી શાર્દુલ ઠાકુર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની શરૂઆત બાદ, ટીમ પસંદગીને લઈને ક્રિકેટ ચાહકે કરેલા 3 વિવાદાસ્પદ ટ્વીટને શાર્દુલ ઠાકુરે લાઈક કર્યું છે. બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્લેઈંગ ઈલેવનમાં શાર્દુલ ઠાકુરની પસંદગી કરવામાં આવી નથી. આ પછી શાર્દુલ ઠાકુરને ટીમ પસંદગીને લઈને સવાલ ઊભા કરતા ટ્વીટને લાઈક કર્યું. આ ટ્વીટમાં ટીમની પસંદગીને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
કેએલ રાહુલના નેતૃત્વમાં ભારતે પ્રથમ ટેસ્ટ 188 રનથી જીતી હતી. બીજી ટેસ્ટમાં પણ ભારતે બાંગ્લાદેશના પ્રથમ દાવના 227 રનના જવાબમાં 314 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં લીડ મેળવી હતી. બાંગ્લાદેશની પિચે અત્યાર સુધી સ્પિનરોને ઘણી મદદ કરી છે.
કુલદીપ યાદવે પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટ ઝડપી હતી, પરંતુ તે પછી તેને બીજી ટેસ્ટમાં બેન્ચ પર બેસાડવામાં આવ્યો હતો અને તેના સ્થાને જયદેવ ઉનડકટને તક આપવામાં આવી હતી. ક્રિકેટ ચાહકોએ પ્રથમ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા સ્પીનર કુલદીપ યાદવને ટીમની બહાર રાખવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન, શાર્દુલ પણ ટીમમાં પસંદ ન થવાથી નિરાશ જોવા મળ્યો હતો. શાર્દુલ ઠાકુરે એક પ્રશંસકની વિવાદાસ્પદ ટ્વીટને લાઈક કરીને બળવાખોર વલણ દર્શાવ્યું હતું.
શાર્દુલે લાઈક કરેલ ટ્વીટમાં, ક્રિકેટ ચાહકે તેને રણજી ટ્રોફિની મેચ રમવાની સલાહ આપી હતી. પ્રશંસકે કહ્યું હતું કે શાર્દુલે બેન્ચ પર બેસવાને બદલે રણજી ટ્રોફિની મેચ રમવી જોઈએ. ઓછામાં ઓછું તેની સાથે ત્યાં તો કોઈ રાજકારણ નહીં રમાય. આ પહેલા પણ શાર્દુલ ઠાકુરે કેટલીક ટ્વિટ લાઈક કરી હતી, જેમાં એક યુઝરે કહ્યું હતું કે ભારતની પ્લેઈંગ ઈલેવન ટ્વિટર ટ્રેન્ડથી પ્રભાવિત છે.